08 September, 2026 09:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગેરકાયદે બાંધકામો વિરુદ્ધ BMCએ હાથ ધરેલી કાર્યવાહી.
અંધેરીમાં આવેલાં DRM મોટર્સ, DRM અપૅરલ્સ અને ચિત્રકૂટ બૅન્ક્વેટ હૉલના આશરે ૩૪,૦૦૦ ચોરસફુટ વિસ્તારમાં ફેલાયેલાં ગેરકાયદે બાંધકામો સોમવારે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા કાર્યવાહી કરી JCB ફેરવીને તોડી પડાયાં હતાં. આ ત્રણેય બાંધકામોથી સંબંધિત શાહ કન્સ્ટ્રક્શન કંપનીને પહેલાં નોટિસ ફટકારવામાં આવી હતી જેને બૉમ્બે હાઈ કોર્ટમાં પડકારવામાં આવી હતી. જોકે હાઈ કોર્ટે તેમની અરજી ફગાવી દેતાં BMCએ કાર્યવાહી કરી હતી.
થાણે (વેસ્ટ)માં લુઇસવાડી વિસ્તારમાં આવેલી રાજતારા સોસાયટીમાં સોમવારે સવારે એક ફ્લૅટમાં આગ લાગી હતી. ચોથા માળે લાગેલી આગને પગલે બિલ્ડિંગને ખાલી કરીને એમાં રહેતા ૪૫ લોકોના જીવ બચાવી લેવામાં આવ્યા હતા. ઇમર્જન્સી સર્વિસિસ દ્વારા સમયસર કાર્યવાહી કરવામાં આવતાં આ ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી. જોકે જે ફ્લૅટમાં આગ લાગ હતી એ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાની વિગત મુજબ સવારે ૮.૪૮ વાગ્યે રાજતારા સોસાયટીની A વિંગના ચોથા માળે ફ્લૅટ-નંબર ૪૦૧માં આગ લાગી હતી. ફાયર-બ્રિગેડ અને રેસ્ક્યુ ટીમે તમામ રહેવાસીઓને બિલ્ડિંગમાંથી બહાર કાઢ્યા હતા તથા આગને કાબૂમાં લેવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. થોડા જ સમયમાં આગ કાબૂમાં આવી હતી. આ ફ્લૅટ શ્રીરંગ શેલારની માલિકીનું હોવાનું જાણવા મળ્યું હતું. હાલ આગ કેમ લાગી એનું કારણ તપાસવામાં આવી રહ્યું છે.