15 June, 2026 07:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ શનિવારે જણાવ્યું હતું કે તેમણે વાહનોમાં ૧૦૦ ટકા એથનૉલના ઉપયોગને કાયદેસર રીતે અધિકૃત કરવા માટેના નિયમોને અંતિમ સ્વરૂપ આપતી ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે. ટૉયોટા અને હ્યુન્દાઇ સહિતના ઑટોમેકર્સ આગામી દોઢ મહિનામાં ૧૦૦ ટકા એથનૉલ-સુસંગત વાહનો લૉન્ચ કરે એવી અપેક્ષા છે.
આ મહિનાની શરૂઆતમાં દિલ્હીમાં ૮૫ ટકા એથનૉલ-મિશ્રિત પેટ્રોલ લૉન્ચ કરવામાં આવ્યું હતું.
આ સંદર્ભમાં નીતિન ગડકરીએ કહ્યું હતું કે ‘મેં ૧૦૦ ટકા એથનૉલના ઉપયોગને કાયદેસર રીતે અધિકૃત કરવાના નિયમોને અંતિમ સ્વરૂપ આપતી ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે. મને એ જણાવતાં આનંદ થાય છે કે મને હરદીપ સિંહ પુરી સાથે મારુતિ સુઝુકીની સૌથી વધુ વેચાતી કાર વૅગનઆરના ૧૦૦ ટકા એથનૉલ-સુસંગત સંસ્કરણને લૉન્ચ કરવાની તક મળી હતી. મોટરસાઇકલોની વાત કરીએ તો દર પાંચ મોટરસાઇકલમાંથી ત્રણનો હિસ્સો ધરાવતી હીરો મોટોકૉર્પએ ૧૦૦ ટકા એથનૉલ પર ચાલવા સક્ષમ બે ફ્લેક્સ-ફ્યુઅલ મૉડલ લૉન્ચ કર્યાં છે. આ પછી ટૉયોટા, સુઝુકી, મૉરિસ ગૅરેજ (MG) અને હ્યુન્દાઇ જેવી કંપનીઓ આગામી દોઢ મહિનામાં ૧૦૦ ટકા એથનૉલ-સુસંગત વાહનો લૉન્ચ કરશે. આમ એથનૉલ પેટ્રોલના એક વ્યવહારુ વિકલ્પ તરીકે સેવા આપશે. જ્યારે મેં આ સપના વિશે વાત કરી ત્યારે લોકો હસતા હતા અને કેટલાક મિત્રોએ એની ટીકા પણ કરી હતી. ટૂંક સમયમાં અમે નાગપુરમાં એક પાઇલટ પ્રોજેક્ટ શરૂ કરીશું જેમાં હાઇડ્રોજન પમ્પ અને બે હાઇડ્રોજન સંચાલિત બસ હશે. જનતા આ હાઇડ્રોજન બસ ચલાવી શકશે, જે ઇલેક્ટ્રોલાઇઝરનો ઉપયોગ કરીને પાણીમાંથી કાઢવામાં આવેલા ગ્રીન હાઇડ્રોજન દ્વારા સંચાલિત હશે. એ દિવસ હવે નજીક છે.’