મુંબઈના ૯૦૦ આંદોલનકારીઓ વિરુદ્ધ નહીં થાય પોલીસકાર્યવાહી

29 July, 2026 08:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આંદોલનમાં ભાગ લેનારા રાજ્યના બધા જ લોકો વિરુદ્ધ નોંધાયેલા ગુના રદ કરવાનો મુખ્ય પ્રધાનનો આદેશ

દેવેન્દ્ર ફડણવીસ

કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના સમર્થનમાં કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણી સાથે મુંબઈમાં દાદરના શિવાજી પાર્ક સહિત રાજ્યમાં અનેક ઠેકાણે આંદોલન કરાયું એ દરમ્યાન અેમાં સામેલ થનારાઓ વિરુદ્ધ નોંધાયેલા ગુના પાછા ખેંચવાનો આદેશ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આપ્યો છે. આંદોલનમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ તથા અન્ય યુવાઓ વિરુદ્ધ આખા રાજ્યમાં કોઈ પણ ગંભીર ગુના નોંધાયા નથી અને ફક્ત કાયદાની નાની-મોટી કલમો હેઠળ તેમના વિરુદ્ધ ગુના નોંધાયા છે એ વાતની નોંધ લઈને દેવેન્દ્ર ફડણવીસે ગૃહખાતાને ગુના પાછા ખેંચવાની પ્રક્રિયા શરૂ કરવાનો આદેશ મંગળવારે આપ્યો હતો. 

વરલી, દાદર, સાયન, માહિમ અને શિવાજી પાર્ક જેવાં પોલીસ-સ્ટેશનોમાં મુબઈમાં જ આંદોલનમાં સહભાગી થનારા ૯૦૦ જણ વિરુદ્ધ ગુના નોંધાયા હતા અને ૧૦થી વધુ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધાયો હતો. એ જ રીતે મહારાષ્ટ્રમાં અન્ય જગ્યાઓએ પણ આંદોલન કરનારાઓ વિરુદ્ધ ગુના નોંધાયા હતા જે પાછા ખેંચવાનો આદેશ દેવેન્દ્ર ફડણવીસે આપ્યો છે. બિહાર બાદ હવે મહારાષ્ટ્રમાં પણ આંદોલનકારીઓ વિરુદ્ધ પોલીસકાર્યવાહી ન કરવાનો નિર્ણય લેવાતાં CJPના સમર્થકોએ દેવેન્દ્ર ફડણવીસના આ નિર્ણયને આવકાર્યો હતો.

mumbai news mumbai cockroach janata party devendra fadnavis maharashtra news maharashtra mumbai police