05 February, 2026 08:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નાલાસોપારામાં ગઈ કાલે પોલીસે કાર્યવાહી દરમ્યાન નાઇજીરિયન લોકોની ધરપકડ કરી હતી.
નાલાસોપારા સહિત વસઈ–વિરાર પરિસરમાં પરદેશી નાગરિકોની સંખ્યામાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને નાઇજીરિયનોની સંખ્યા વધી હોવાની ફરિયાદો આવી રહી હતી. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ગઈ કાલે સવારથી નાલાસોપારામાં પોલીસ અને વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશન (VVMC)એ સંયુક્ત કાર્યવાહી શરૂ કરી હતી. આ દરમ્યાન કેટલાક નાઇજીરિયનો ભારતમાં વીઝા અને પાસપોર્ટ વિના ગેરકાયદે રહેતા હોવાનું અને ગુમાસ્તા પરવાના વગર કામધંધો કરતા હોવાનું જાણવા મળ્યું હતું. ગઈ કાલની એક દિવસની કાર્યવાહીમાં પોલીસે ૧૦૯ નાઇજીરિયનોને તાબામાં લઈને તેમની સામે કાર્યવાહી કરી હતી.
MBVVના ઝોન-2ના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (DCP) પૂર્ણિમા ચૌગુલેએ કહ્યું હતું કે ‘નાલાસોપારા-ઈસ્ટના પ્રગતિનગર, અગ્રવાલનગર સહિતના વિસ્તારોમાં નાઇજીરિયન લોકોની મોટી વસ્તી હોવાનું જાણવા મળ્યું હતું. સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ રાતના સમયે અહીં નશીલા પદાર્થોનો વ્યવહાર અને અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ થતી હતી. કેટલાક નાઇજીરિયનોની દાદાગીરીને કારણે આસપાસના રહેવાસીઓ અને અહીંથી પસાર થતા લોકોને તકલીફનો સામનો કરવો પડતો હતો. આ બાબતે સ્થાનિક પોલીસ-સ્ટેશનમાં અનેક ફરિયાદો નોંધાઈ હતી. આ ફરિયાદોના આધારે VVMC સાથે ગઈ કાલે શરૂ કરવામાં આવેલી કાર્યવાહી દરમ્યાન ગુમાસ્તા પરવાના વગર ચાલતી અંદાજે ૪૦ દુકાનો બંધ કરાવવામાં આવી છે. કેટલીક ઇમારતોમાં ગેરકાયદે રીતે કબજો કરવામાં આવ્યો હોવાનું પણ બહાર આવ્યું છે. કાર્યવાહી અંતર્ગત ઘરોની અંદર પણ તપાસ કરવામાં આવી રહી છે તેમ જ પાસપોર્ટ અને વીઝાની તપાસ ચાલી રહી છે. આ કાર્યવાહીમાં ૧૦૯ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. તેમના તમામ દસ્તાવેજોની તપાસ કરવામાં આવશે અને ત્યાર બાદ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. આ સંયુક્ત કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે.’