16 June, 2026 09:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતાપ સરનાઇક
મુંબઈ-અમદાવાદ હાઇવે પર કાશીગાવ પાસે લાંબા સમયથી બની રહેલા ફ્લાયઓવરની છેલ્લી ડેડલાઇન ૧૦ જૂન હતી છતાં એ ફ્લાયઓવર તૈયાર નથી થયો. એથી ગઈ કાલે રાજ્યના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈક ત્યાં પહોંચી ગયા હતા. તેમણે કૉન્ટ્રૅક્ટર અને અધિકારીઓ સાથે મળીને એનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે જ્યારે કરન્ટ સ્ટેટસ પૂછ્યું ત્યારે કહેવામાં આવ્યું કે ફ્લાયઓવર બનીને તૈયાર છે, થોડુંઘણું કામ બાકી છે જે ટૂંક સમયમાં આટોપી લેવાશે.
પ્રતાપ સરનાઈકે કહ્યું હતું કે ઑલરેડી લાંબા સમયથી એનું કામ ચાલી રહ્યું હોવાથી મોટરિસ્ટોને ભારે હાડમારી ભોગવવી પડી રહી છે, વહેલી તકે આ કામ પૂરું કરો. તેમણે પૂછ્યું હતું કે ક્યાર સુધી એ બાકીનું કામ આટોપી લેવાશે અને ફ્લાયઓવર ચાલુ કરી શકાશે? તો કૉન્ટ્રૅક્ટરના પ્રતિનિધિએ કહ્યું હતું કે ‘૨૦ તારીખ સુધીમાં કામ આટોપી લેવાશે ત્યારે પ્રતાપ સરનાઈકે કહ્યું હતું કે ૨૦ તારીખ સુધી એ કામ થઈ જાય એટલે એને લોકો માટે ખુલ્લો મૂકી દેજો, એનું ઉદ્ઘાટન વગેરે કરવાની પળોજણમાં ન પડતા. જો ૨૦ તારીખ સુધી એ ફ્લાયઓવર તૈયાર ન થયો તો હું નીતિન ગડકરીને કૉન્ટ્રૅક્ટર પર રોજનો હેવી ફાઇન લગાવવા કહીશ.’
મીરા રોડના સિલ્વર પાર્ક પાસે ગઈ કાલે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ એક ગૅરેજની આગળ પાર્ક કરાયેલાં વાહનોમાં આગ ફાટી નીકળી હતી. નજીક-નજીક પાર્ક કરાયેલાં વ્હીકલ્સને કારણે આગ બહુ ઝડપથી ફેલાઈ હતી. આગ લાગવાને કારણે નાસભાગ મચી ગઈ હતી. એ પછી જે અન્ય વાહનો ત્યાં પાર્ક કરેલાં હતાં એમને ઝડપથી ત્યાંથી હટાવી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ફાયર-બ્રિગેડ આવે એ પહેલાં સ્થાનિક લોકોએ આગ પર પાણી નાખીને એને ઓલવવાની કોશિશ કરી હતી. થોડા કલાક બાદ આગ પર કાબૂ મેળવાયો હતો.