16 June, 2025 11:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
સોમવારે પુણે (Pune)થી મહારાષ્ટ્ર (Maharashtra)ના દૌંડ (Daund) જઈ રહેલી ડીઝલ ઇલેક્ટ્રિક મલ્ટીપલ યુનિટ (Diesel Electric Multiple Unit - DEMU) શટલ ટ્રેનમાં અચાનક આગ (Pune Daund Train Fire) લાગી ગઈ. આ ઘટના ત્યારે બની જ્યારે ટ્રેન તેના નિર્ધારિત રૂટ પર હતી. અચાનક આગ અને ધુમાડાના ગોટેગોટા જોઈને ટ્રેનમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી. એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે.
દૌંડથી પુણે જતી DEMU ટ્રેનમાં અચાનક આગ લાગી ગઈ. જેના કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. એક વ્યક્તિ ટોઇલેટમાં ફસાઈ ગયો હતો. દરવાજો તોડીને તેને બચાવી લેવામાં આવ્યો હતો. દૌંડ રેલવે પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે આગને તાત્કાલિક કાબૂમાં લેવામાં આવી હતી અને આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટના પુણે જિલ્લાના યેવત (Yevat) નજીક સવારે આઠ વાગ્યે બની હતી. સદ્નસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ.
ટ્રેનના ટોઇલેટમાં આ આગ લાગી હતી. દરવાજો અંદરથી બંધ હોવાથી એક વ્યક્તિ ટોઇલેટમાં ફસાઈ ગયો હતો. ધુમાડા અને મુસાફરની ચીસો સાંભળીને ત્યાં અરાજકતા મચી ગઈ હતી. જોકે, કેટલાક મુસાફરોએ હિંમત બતાવી અને ટોઇલેટનો દરવાજો તોડીને તે વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો, જેના કારણે તેનો જીવ બચી ગયો.
રેલવેના પ્રવક્તાએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, આ ઘટનાના સંદર્ભમાં ૫૫ વર્ષીય વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પ્રારંભિક માહિતી અનુસાર, મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના એક મુસાફરે ધૂમ્રપાન કર્યા પછી બીડી કચરાપેટીમાં ફેંકી દીધી હતી, જેના કારણે આગ લાગી હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઘટના સવારે આઠ વાગ્યાની આસપાસ બની હતી. ડસ્ટબીનમાં કાગળ અને અન્ય કચરો હતો, જેમાં આગ લાગી હતી, જેના કારણે શૌચાલયમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો અને મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. તે કોચમાં ફક્ત થોડા જ મુસાફરો હતા. અધિકારીએ કહ્યું કે, આગને તાત્કાલિક કાબૂમાં લેવામાં આવી હતી અને આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. રેલવે અધિકારીઓ અને પોલીસ તેમની તપાસ ચાલુ રાખી રહ્યા છે અને મુસાફરોને ટ્રેનમાં ધૂમ્રપાન ન કરવા અથવા એવી કોઈપણ પ્રવૃત્તિમાં ન જોડાવા માટે વિનંતી કરવામાં આવી છે જે જીવનને જોખમમાં મૂકી શકે.
ફાયર બ્રિગેડ અને રેલવે અધિકારીઓની તત્પરતાને કારણે આગ તાત્કાલિક કાબુમાં આવી ગઈ હતી અને મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. સદ્નસીબે આ રેલ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. માત્ર, આગને કારણે મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી. રેલવે પોલીસ આ મામલે વિગતવાર તપાસ કરી રહી છે.