સોલાપુરમાં મુલતાની બેકરીના માલિકે સત્તરમા માળેથીને ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું

07 February, 2026 10:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બિલ્ડિંગ પર હાથ જોડીને પ્રાર્થના કરતા દેખાયા, ગાર્ડ અને લોકોએ સમજાવીને નીચે ઉતાર્યા, ગાડીની ચાવી ઉપર રહી ગઈ છે કહીને પાછા ગયા અને ઝંપલાવી દીધું

૧૭ માળના બિલ્ડિંગ પરથી કૂદતાં પહેલાં સુનીલ સદારંગાની પ્રાર્થના કરતા દેખાયા હતા

સોલાપુરની પ્રખ્યાત મુલતાની બેકરીના માલિક સુનીલ સદારંગાનીએ સત્તરમા માળેથી કૂદીને જીવન ટૂંકાવ્યું છે. ગુરુવારે બનેલી આ આઘાતજનક ઘટનાનો વિડિયો વાઇરલ થયો છે, જેમાં સુનીલ સદારંગાની ૧૭ માળના બિલ્ડિંગની ટેરેસ પર હાથ જોડીને પ્રાર્થના કરતા જોવા મળે છે. પ્રાર્થના કર્યા બાદ તેઓ ટેરેસ પરથી નીચે કૂદી જાય છે. ફુટેજનો આ વિડિયો વાઇરલ થતાં આત્મહત્યાનું કારણ ચર્ચાનો વિષય બન્યું છે.

એક સમયે આઇકૉનિક ગણાતી મુલતાની બેકરીના ૫૯ વર્ષના માલિક સુનીલ સદારંગાનીએ વિજાપુર રોડ પર પનાશ અપાર્ટમેન્ટના સત્તરમા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. ટેરેસ પર કોઈ વ્યક્તિને જોયા પછી આસપાસના લોકોએ બિલ્ડિંગના ચોકીદારને જાણ કરી હતી. તેણે ઘટનાસ્થળે હાજર એક ઑફિસ-કર્મચારીને જાણ કરી. બધા મળીને સત્તરમા માળે પહોંચ્યા અને તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. સુનીલ સદારંગાની માની ગયા અને બધા બિલ્ડિંગની ટેરેસ પરથી નીચે ઊતરી રહ્યા હતા.

ઊતરતી વખતે દસમા માળે પહોંચ્યા પછી કારની ચાવીઓ ઉપર રહી ગઈ છે એમ કહીને પાછા ઉપર ગયા અને કૂદી પડ્યા. સત્તરમા માળેથી પટકાતાં તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. સૂચના મળતાં જ નજીકના પોલીસ-સ્ટેશનની પોલીસટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે સરકારી હૉસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે. બિઝનેસમૅને કયા કારણસર આ અંતિમ પગલું ભર્યું છે એ જાણવા અધિકારીઓએ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

સુનીલ સદારંગાની થોડાં વર્ષોથી આર્થિક કારણોસર સ્ટ્રેસમાં રહેતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બેકરી બંધ થયા બાદ તેઓ અમુક વર્ષ પહેલાં સોલાપુરથી પુણે રહેવા ગયા હતા. છેલ્લા ચાર દિવસથી તેઓ પત્ની સાથે સોલાપુર આવ્યા હતા.

suicide solapur maharashtra news maharashtra mumbai mumbai news