18 April, 2025 07:13 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાજ ઠાકરે (ફાઇલ તસવીર)
તમિલનાડુમાં હિન્દી ભાષા બોલવા પર શરૂ થયેલા વિવાદ પછી, હવે મહારાષ્ટ્ર પણ તેની અસર દેખાઈ રહી છે. મહારાષ્ટ્રની સરકારી અને ખાનગી શાળાઓમાં ધોરણ એકથી પાંચ સુધી હિન્દીને ત્રીજી ભાષા તરીકે ભણવું ફરજિયાત રહેશે એવી જાહેરાત કરવામાં આવી હતી. રાજ્ય સરકારના આ નિર્ણયનો મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) ના પ્રમુખ રાજ ઠાકરેએ વિરોધ કર્યો છે. ઠાકરેએ એક નિવેદનમાં કહ્યું છે કે હું સ્પષ્ટ શબ્દોમાં કહું છું કે મનસે આ મજબૂરી સહન કરશે નહીં. રાજ ઠાકરેએ તેમાં લખ્યું છે કે `આપણે હિન્દુ છીએ, પણ હિન્દી નહીં!` જો તમે મહારાષ્ટ્રને હિન્દીના રંગમાં રંગવાનો પ્રયાસ કરશો તો મહારાષ્ટ્રમાં સંઘર્ષ થશે જ. જો તમે આ બધું જોશો તો તમને લાગશે કે સરકાર જાણી જોઈને આ સંઘર્ષ પેદા કરી રહી છે. શું આ આગામી ચૂંટણીઓમાં મરાઠીઓ અને બિન-મરાઠીઓ વચ્ચે સંઘર્ષ ઊભો કરવાનો અને તેનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ છે?
રાજ ઠાકરેએ શું કહ્યું?
આ મુદ્દા પર પોતાની ચિંતા વ્યક્ત કરતા રાજ ઠાકરેએ ટ્વીટ કર્યું, "મહારાષ્ટ્રની શાળાઓમાં હિન્દી ફરજિયાત બનાવવાનું અમે સહન કરીશું નહીં. કેન્દ્ર સરકારના આ પ્રયાસો મહારાષ્ટ્રમાં હિન્દી લાદવાના છે, જે સંપૂર્ણપણે ખોટું છે. હિન્દી રાષ્ટ્રભાષા નથી, પરંતુ અન્ય ભાષાઓની જેમ રાજ્યભાષા છે. મહારાષ્ટ્રમાં શરૂઆતથી જ તે શા માટે શીખવવું જોઈએ? તમારું ત્રિભાષી સૂત્ર ગમે તે હોય, તેને સરકારી બાબતો સુધી મર્યાદિત રાખો, તેને શિક્ષણમાં ન લાવો. ભારતીય બંધારણમાં રાજ્યોની રચના ભાષાના આધારે કરવામાં આવી છે અને હવે તેના પર હુમલો થઈ રહ્યો છે. આ પગલું મહારાષ્ટ્રની સંસ્કૃતિ અને ભાષાને નબળી પાડવાનો પ્રયાસ છે. મહારાષ્ટ્રની એક ઓળખ છે, અને અમે મરાઠી ભાષાના સન્માનનું રક્ષણ કરીશું.” રાજ ઠાકરેની આ નારાજગી એવા સમયે સામે આવી છે જ્યારે ફડણવીસ સરકારના નિર્ણયો અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. આ પહેલા રાજ ઠાકરે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને મળ્યા હતા.
રાજ ઠાકરેની સીધી ચેતવણી
ઠાકરેએ કહ્યું છે કે રાજ્યના બિન-મરાઠી ભાષી લોકોએ પણ સરકારની આ યોજના સમજવી જોઈએ. એવું નથી કે તેમને તમારી ભાષા માટે કોઈ ખાસ પ્રેમ છે. તેઓ તમને ઉશ્કેરીને પોતાના રાજકીય હિતોને આગળ વધારવા માગે છે. જ્યારે રાજ્યની આર્થિક સ્થિતિ ખરાબ છે, યુવાનો બેરોજગાર છે અને ખેડૂતોના લોન માફ કરવાનું વચન પૂર્ણ થયું નથી, ત્યારે સરકાર આ મુદ્દો ઉઠાવીને ચૂંટણી લાભ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. ઠાકરેએ એમ પણ પૂછ્યું કે શું દક્ષિણના કોઈપણ રાજ્યમાં પણ હિન્દી ફરજિયાત બનાવવામાં આવશે? જો આવું થયું હોત, તો ત્યાંની સરકારોએ તેનો વિરોધ કર્યો હોત. રાજ ઠાકરેએ મુખ્ય પ્રધાન અને અન્ય શાસક નેતાઓને આ નિર્ણય પાછો ખેંચવા અને મહારાષ્ટ્રના લોકોની લાગણીઓનો આદર કરવા અપીલ કરી. આ સાથે, તેમણે તમામ મરાઠી ભાષી લોકોને આ મુદ્દા સામે અવાજ ઉઠાવવાની અપીલ કરી.