07 February, 2026 10:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નિયમિત પ્રોટોકૉલ મુજબ પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું હતું
ભાઈંદરના રહેણાક વિસ્તારમાં ડિસેમ્બરમાં આતંક મચાવનારો અને બચાવી લેવાયેલો અને બાદમાં સંજય ગાંધી નૅશનલ પાર્ક (SGNP)માં છોડવામાં આવેલો નર દીપડો સોમવારે સાંજે યેઉર જંગલના નાગલા ઝોનમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. વન-અધિકારીઓએ જણાવ્યું હતું કે એના મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમૉર્ટમ અને લૅબોરેટરીના રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે. SGNPના ડેપ્યુટી ડિરેક્ટર પ્રદીપ પાટીલના જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસમાં શિકારની શક્યતા નકારી કાઢવામાં આવી છે, કારણ કે દીપડાના દાંત, નખ, મૂછ અને તમામ અંગો અખંડિત હાલતમાં મળ્યાં છે. સોમવાર સાંજે મળેલી અલર્ટ બાદ વનવિભાગ અને WCSની ટીમ સ્થળે પહોંચી હતી. મંગળવારે નિયમિત પ્રોટોકૉલ મુજબ પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું હતું. એનો રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું સાચું કારણ જાહેર કરવામાં આવશે.