સાવંતવાડી રેલવે-સ્ટેશનનું નામ લોકમાન્ય મધુ દંડવતે રેલવે ટર્મિનસ કરવામાં આવશે

27 May, 2026 08:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ નિર્ણયથી કોકણ પ્રદેશના લોકોની લાંબા સમયથી ચાલી આવતી માગણી પૂરી થઈ છે

પ્રતીકાત્મક તસવીર

કોકણ રેલવેના આર્કિટેક્ટ ગણાતા સમાજવાદી નેતા મધુ દંડવતેના સન્માનમાં હવે સાવંતવાડી રેલવે-સ્ટેશનનું નામ બદલીને લોકમાન્ય મધુ દંડવતે રેલવે ટર્મિનસ કરવામાં આવશે. મહારાષ્ટ્ર સરકારે મંગળવારે કૅબિનેટની બેઠકમાં આ નિર્ણયને લીલી ઝંડી આપી હતી. રાજ્ય સરકાર હવે આ પ્રસ્તાવને અંતિમ મંજૂરી માટે કેન્દ્ર સરકારને મોકલશે.

આ નિર્ણયથી કોકણ પ્રદેશના લોકોની લાંબા સમયથી ચાલી આવતી માગણી પૂરી થઈ છે. મધુ દંડવતે રાજાપુર લોકસભા મતવિસ્તાર (જે ૨૦૦૯ના સીમાંકન પછી હવે રત્નાગિરિ-સિંધુદુર્ગ બેઠક તરીકે ઓળખાય છે)માંથી સતત પાંચ વખત સંસદસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે મોરારજી દેસાઈની સરકારમાં દેશના રેલવેપ્રધાન તરીકે અને ત્યાર બાદ વી. પી. સિંહની સરકારમાં દેશના નાણાપ્રધાન તરીકેની મહત્ત્વની જવાબદારીઓ સંભાળી હતી. રેલવેપ્રધાન તરીકેના તેમના કાર્યકાળ દરમ્યાન જ કોકણ રેલવેના પાયાના આયોજનને વેગ મળ્યો હતો.

mumbai news mumbai maharashtra news maharashtra konkan indian railways