14 March, 2025 04:06 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શરદ પવાર અને જયંત પાટીલ ફાઇલ તસવીર (સૌજન્ય મિડ-ડે)
મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ઉથલપાથલ થવાની સંભાવના છે. રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP-SP)ના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્ર પ્રમુખ જયંત પાટીલ વિશે અહેવાલો આવી રહ્યાં છે કે તેઓ શરદ પવારના ભત્રીજા અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવારની પાર્ટીમાં જોડાઈ શકે છે.
શું છે સમગ્ર મામલો?
વર્ષ 2023માં મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટી ઉથલપાથલ થઈ હતી, જ્યારે અજિત પવારે શરદ પવારનો સાથ છોડીને NCPમાંથી અલગ થઈ પોતાનો અલગ રાજકીય જૂથ બનાવી લીધો હતો. આ ઘટના બાદ NCPનો અધિકાર અજિત પવારને મળ્યો, જ્યારે શરદ પવારે પોતાની અલગ રાજકીય ઓળખ `NCP-SP` તરીકે ઉભી કરી હતી. તાજેતરમાં થયેલી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં NCPએ 41 બેઠકો પર વિજય મેળવ્યો હતો, જ્યારે શરદ પવારની NCP-SP ફક્ત 10 બેઠકો સુધી જ મર્યાદિત રહી હતી.
શું છે રાજકીય દાવપેચ?
અહેવાલ મુજબ મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને શિવસેના નેતા સંજય શિરસાટે આ દાવો કર્યો છે કે "જયંત પાટીલ લાંબા સમય સુધી શરદ પવારની NCP-SPમાં રહેવાના મૂડમાં નથી. ટૂંક સમયમાં જ તેઓ અજિત પવારની NCPમાં સામેલ થવાના છે."
શા માટે વધી આ અટકળો?
જયંત પાટીલે થોડા દિવસ પહેલા એક નિવેદનમાં કહ્યું હતું કે તેમના ભવિષ્ય વિશે કંઈ નિશ્ચિત નથી. આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં તેમના પાર્ટી છોડવાની ચર્ચા શરૂ થઈ હતી. કૉંગ્રેસ નેતા વિજય વડેટ્ટીવારે પણ જણાવ્યું હતું કે જયંત પાટીલ થોડા સમયથી નારાજ છે. "હમણાં તેઓ જે કંઈ કહી રહ્યા છે એમાં કોઈ મોટી વાત છુપાયેલી છે," તેમણે ઉમેર્યું. તેમણે વધુમાં કહ્યું "મને ખબર નથી કે તેમના નિવેદન પાછળનો હેતુ શું હતો. તેઓ એક વરિષ્ઠ નેતા છે, 8 વખત ધારાસભ્ય રહ્યા છે અને મહત્ત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળી ચૂક્યા છે."
NCP-SPના નેતા સુપ્રિયા સુળેએ શું કહ્યું?
NCP-SPના વરિષ્ઠ નેતા સુપ્રિયા સુળેએ આ પરિસ્થિતિ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, "જયંત પાટીલ અમારી પાર્ટી માટે એક મોટું બળ છે અને લોકોને હજી પણ જય પાટીલની જરૂર છે`."
NCPના હસન મુશરીફે શું કહ્યું?
NCPના નેતા હસન મુશરીફે પણ દાવો કર્યો કે "જયંત પાટીલ નારાજ છે અને તેઓ આગામી પાંચ વર્ષ સુધી પણ NCP-SP સાથે રહી શકશે તે નક્કી નથી."
તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ગઈ કાલે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર)નાં મહિલા પ્રદેશાધ્યક્ષ અને ભૂતપૂર્વ વિધાનસભ્ય રોહિણી ખડસેએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર લખીને મહિલાઓને એક ખૂન માફ કરવા માટેની પરવાનગી આપવાની માગણી કરી હતી. આ માગણીની ખૂબ ચર્ચા થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે રોહિણી ખડસે મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા એકનાથ ખડસેનાં પુત્રી છે. તેઓ પહેલાં ભારતીય જનતા પાર્ટીનાં વિધાનસભ્ય હતાં. બાદમાં તેઓ નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)માં સામેલ થયાં હતાં અને અત્યારે તેઓ પક્ષનાં મહિલા પ્રદેશાધ્યક્ષ છે.