16 June, 2025 09:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આશા ઝવેરી
મમ્મી મીનાક્ષી ઝવેરીએ ચાટની ચાર આઇટમોથી એકલપંડે શરૂ કરેલી આ રેસ્ટોરાંને આશા ઝવેરી નવી ઊંચાઈ પર લઈ આવ્યાં હતાં. અહીંની સ્વાદ, સોડમથી ભરપૂર પરંપરાગત વાનગીઓનો મોટો ચાહક છે ભારતનો સૌથી ધનિક અંબાણી પરિવાર
આમ આદમીથી માંડીને સેલિબ્રિટીઝની દાઢે વળગેલી ઑથેન્ટિક ટ્રેડિશનલ વાનગીઓ પીરસતી સ્વાતિ સ્નૅક્સનાં ઓનર આશા ઝવેરીનું ૭૯ વર્ષની ઉંમરે ગઈ કાલે બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ છેલ્લા ઘણા સમયથી માંદા હતાં. ગઈ કાલે સાંજે જ તેમના અંતિમ સંસ્કાર વરલીના સ્મશાનમાં કરવામાં આવ્યા હતા.
સ્વાતિ સ્નૅક્સનાં આશા ઝવેરીના અવસાનને પગલે તાડદેવ અને નરીમાન પૉઇન્ટમાં રેસ્ટોરાં ગઈ કાલે બંધ રહી હતી. તસવીરો : આશિષ રાજે
૧૯૬૩માં તેમનાં મમ્મી મીનાક્ષી ઝવેરીએ સ્વાતિ સ્નૅક્સ રેસ્ટોરાંની શરૂઆત એકલા હાથે શરૂ કરી હતી. એ વખતે માત્ર ચાર ચાટ આઇટમો જ અહીંના મેનુમાં હતી. ૧૯૭૯માં મીનાક્ષી ઝવેરીના મૃત્યુ બાદ આશાબહેને આ રેસ્ટોરાં સંભાળી લીધી હતી. તેમણે સ્વાદની વિરાસત અને પરંપરાને જાળવી રાખીને એમાં સ્વાદિષ્ટ વાનગીઓનો ઉમેરો કર્યો હતો. આ રેસ્ટોરાંના ભોજનમાં ઘર જેવી શુદ્ધતા અને સ્વાદનું કૉમ્બિનેશન છે એટલે જ સ્તો ભારતના સૌથી ધનિક મુકેશ અંબાણીના પરિવારમાં પણ અઠવાડિયામાં એક વાર તો સ્વાતિ સ્નૅક્સની વાનગીઓ મગાવાય છે. ઍપલના CEO ટિમ કુક જ્યારે ઇન્ડિયા આવ્યા ત્યારે માધુરી દીક્ષિત તેમને અહીંનાં વડાપાંઉ ખવડાવવા લઈ ગઈ હતી.
માધુરી દીક્ષિત ઍપલના ટિમ કુકને અહીં વડાપાંઉ ખાવા લઈ આવી હતી.
આશાબહેનના ગયા પછી હવે આ રેસ્ટોરાં તેમની પછીની પેઢીના શાન અને કરણ સંભાળી રહ્યા છે. સ્વાતિ સ્નૅક્સની કુલ ચાર બ્રાન્ચ છે, બે મુંબઈમાં અને બે અમદાવાદમાં. મુંબઈમાં એક તારદેવમાં છે જ્યારે બીજી નરીમાન પૉઇન્ટ પર છે.