T20 વર્લ્ડ કપની ફાઇનલે રેલવેને કરાવી દોઢ કરોડ રૂપિયાની આવક

11 March, 2026 09:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ અને પુણેના પ્રેક્ષકો માટે ચલાવી જવા-આવવાની કુલ ૧૨ વિશેષ ટ્રેન : ૧૫,૦૦૦થી વધુ લોકોએ લીધો લાભ

વિશેષ ટ્રેનમાં અમદાવાદ જઈ રહેલા મુંબઈના ક્રિકેટચાહકો.

T20 વર્લ્ડ કપની અમદાવાદમાં ૮ માર્ચે રમાયેલી ફાઇનલ મૅચ માટે પશ્ચિમ રેલવેએ ક્રિકેટચાહકોને મુંબઈ અને પુણેથી અમદાવાદ જવા માટે અને અમદાવાદથી પરત આવવા માટે ૬ જવાની અને ૬ આવવાની મળીને ૧૨ ટ્રેનોની ખાસ વ્યવસ્થા કરી હતી. એના કારણે રેલવેને ચાંદી જ ચાંદી થઈ છે અને દોઢ કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે. 

વર્લ્ડ કપની ફાઇનલ મૅચમાં ભારતીય ટીમ આવી હોવાથી મોટી સંખ્યામાં પ્રેક્ષકો અમદાવાદ જવાના હોવાથી રેલવે દ્વારા ૧૨ વિશેષ ટ્રેન-ટ્રિપનું સંચાલન કરવામાં આવ્યું હતું. પશ્ચિમ રેલવેએ મુંબઈ સેન્ટ્રલ, બાંદરા ટર્મિનસ, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને પુણેથી અમદાવાદ જવા માટે ટ્રેન ચલાવી હતી. પ્રેક્ષકોને મૅચ જોવા લઈ જવા માટે અમદાવાદ તરફ ૬ વિશેષ ટ્રેન અને મૅચ બાદ પ્રેક્ષકોને પરત લાવવા માટે ૬ વિશેષ ટ્રેનનું સંચાલન કરવામાં આવ્યું હતું. નિયમિત ટ્રેનોની સાથે-સાથે આ વિશેષ ટ્રેનનું એવી રીતે આયોજન કરવામાં આવ્યું હતું કે પ્રેક્ષકોને ડોર-ટુ-ડોર જેવી સુવિધાનો અનુભવ થયો હતો.

રેલવે તંત્રએ આ વ્યવસ્થાથી મુસાફરોને સગવડ પૂરી પાડી એના કારણે રેલવેને પણ આર્થિક લાભ થયો છે. આ વિશેષ ટ્રેનો દ્વારા ૧૫,૦૦૦થી વધુ યાત્રિકોએ મુસાફરી કરી હતી. એના કારણે રેલવેને ૧.૫૦ કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે. 

national news india ahmedabad indian railways t20 world cup mumbai pune news pune western railway