22 August, 2026 08:07 AM IST | Chhatrapati Sambhaji Nagar | Gujarati Mid-day Correspondent
દીકરાને બચાવવાનો પ્રયત્ન કરી રહેલાં મમ્મી-પપ્પા.
છત્રપતિ સંભાજીનગરના તીસગાવમાં એક ટીનેજરે તેનાં મમ્મી-પપ્પાએ તેને આઇફોન 15 પ્રો ન લઈ આપતાં ડુંગર પરથી ઝંપલાવીને આત્મહમત્યા કરી હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો હતો. જોકે વધુ દુઃખદ બાબતે એ છે કે તેને બચાવવાના પ્રયાસમાં ટીનેજરનાં પપ્પા તથા મમ્મીએ પણ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. શુક્રવારે બપોરે બનેલી આ ઘટનામાં ત્રણેયનાં મૃત્યુ થયાં હોવાનું પોલીસે જણાવ્યુ હતું.
પોલીસે આપેલી માહિતી મુજબ આ ઘટનામાં ૧૮ વર્ષના કુણાલ ચાંદવડે, તેના પિતા મુરલીધર અને મમ્મી સંગીતાનાં મૃત્યુ થયાં હતાં. સવારે ૧૦ વાગ્યાની આસપાસ મુરલીધર અને તેની પત્ની સંગીતાને તેમનો દીકરો આત્મહત્યા કરવા માટે ડુંગર પર ચડ્યો હોવાની જાણ થઈ હતી. તેમણે આ માહિતી પોલીસને આપી હતી અને પોતે પણ તેને બચાવવા માટે ડુંગર પર પહોંચ્યાં હતાં.
આ ઘટનાને નજરે જોનારા સાક્ષીએ જણાવ્યા અનુસાર ટીનેજર ડુંગરના કિનારે ઊભો હતો અને કૂદવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે ઘણી વાર સુધી તે કૂદવાનું સાહસ કરી શક્યો નહોતો. એ દરમ્યાન જ તેનાં મમ્મી-પપ્પા ત્યાં પહોંચ્યાં હતાં અને તેને વારંવાર પાછા આવી જવાની અને ન કૂદવાની વિનંતી કરતાં હતાં. આ દરમ્યાન ત્યાં હાજર પોલીસ અને ફાયરબ્રિગેડે જાળી લગાવી દીધી હતી જેથી તે કૂદે તો પણ તેને બચાવી શકાય. જોકે પપ્પાએ દીકરાને ખેંચીને કિનારેથી દૂર કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે જ તે નીચે કૂદ્યો હતો અને તેની સાથે-સાથે પપ્પા પણ નીચે ખીણમાં પડી ગયા હતા.
૩ કલાક ચાલ્યા બચાવવાના પ્રયાસ
લગભગ ૩ કલાક સુધી કુણાલને ડુંગર પરથી ઊતરવા માટે મનાવવાનો પ્રયાસ કરનારા ગામના સરપંચે કહ્યું હતું કે ‘અમે બપોરે એક વાગ્યા સુધી તેને મનાવવાનો પ્રયાસ કરતા હતા. મેં તેને આઇફોન 15 પ્રો લઈ આપવાનું વચન પણ આપ્યું, પરંતુ તે કહેતો રહ્યો કે હવે ફક્ત એક જ સૉલ્યુશન છે. તે કોઈની વાત માનવા જ તૈયાર નહોતો. તેનાં મમ્મી-પપ્પા છેલ્લે સુધી અમારી સાથે નીચે હતાં. છેલ્લી પંદરથી ૨૦ મિનિટમાં તે ઉપર ગયાં હતાં. દીકરાને બચાવવા જતાં પપ્પા પણ નીચે પડ્યા એ જોઈને મમ્મીએ પણ નીચે મોતની છલાંગ મારી હતી.’મમ્મી આઘાત ન જીરવી શકી અને ઝંપલાવ્યું
દીકરાને બચાવવા જતાં પોતાનો પતિ પણ ૬૦થી ૭૦ ફુટ નીચે પટકાયો હોવાનું દૃશ્ય જોઈને સંગીતા પણ હતપ્રભ થઈ ગઈ હતી અને થોડી વાર સ્તબ્ધ થઈને ઊભી રહી હતી. જોકે ત્યાર પછી જીવનમાં બધું જ સમાપ્ત થઈ ગયું હોવાનું માનીને તેણે પણ ઉપરથી ઝંપલાવ્યું હતું અને પોતાનો જીવ ત્યાગી દીધો હતો. આ આખી ઘટનાને નીચે સેંકડો લોકો ઊભા રહીને જોઈ રહ્યા હતા. આ ઘટનાને કારણે આખા વિસ્તારમાં શોકનું મોજું પ્રસરેલું છે.