05 July, 2025 07:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દાદરમાં શિવસેના ભવન પાસે લાગેલું બૅનર. તસવીર: આશિષ રાજે
મરાઠી માણૂસનો વિજય એ નારા સાથે આજે વરલીના ડોમમાં આયોજિત કરવામાં આવેલા વિજયી મેળાવડામાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેનાં જ ભાષણ થશે. જો કોઈ બીજા પક્ષના પ્રમુખ આવ્યા હશે તો તેમનાં ભાષણ થશે. વ્યાસપીઠ પર પણ ફક્ત પક્ષ-અધ્યક્ષોને જ સ્થાન આપવામાં આવશે. સંજય રાઉત, આદિત્ય ઠાકરે, અમિત ઠાકરે એ બધા જ નીચે બેસશે. બીજા બધા નેતાઓને પણ નીચે જ બેસાડવામાં આવશે, પણ તેમનું માન જળવાય એ બાબતનું ધ્યાન રાખવામાં આવશે.
મુંબઈમાં જ્યાં પણ શક્ય હશે ત્યાં LED સ્ક્રીન લગાડવામાં આવશે અને વિજયી મેળાવડાનું લાઇવ ટેલિકાસ્ટ એના પર જોવા મળશે. ગિરદીને કઈ રીતે મૅનેજ કરવી એ બન્ને પક્ષની સંયુક્ત જવાબદારી રહેશે. બન્ને ઠાકરે બંધુઓના પક્ષના નેતાઓની વિશેષ ટીમ તૈયાર કરવામાં આવી છે. ડોમમાં ૭૦૦૦થી ૮૦૦૦ લોકો બેસી શકે છે. જો ગિરદી વધી જશે તો ડોમની ગૅલરીઓ પણ કાર્યકર્તાઓ માટે ખોલી દેવામાં આવશે. ડોમ કૅમ્પસમાં શેડ નાખીને વધારાની બેઠકોની વ્યવસ્થા કરવામાં આવશે. બૅનરબાજી, પોસ્ટર અને નારાબાજી કરી એકબીજાના પક્ષની ખિલ્લી નહીં ઉડાવાય એ બાબતની કાળજી લેવા જણાવાયું છે.
ડોમના બેઝમેન્ટમાં ૮૦૦ કાર પાર્ક કરવાની સુવિધા છે. એ સિવાય મહાલક્ષ્મી રેસકોર્સમાં પણ પાર્કિંગની સુવિધા ઊભી કરવામાં આવી છે. ટૂ-વ્હીલર કોસ્ટલ રોડ બ્રિજની નીચે પાર્ક કરી શકાશે. બહારગામથી આવેલી બસ અને બીજી મોટી ગાડીઓનું મહાલક્ષ્મી રેસકોર્સ પર પાર્કિંગ કરવામાં આવશે.
શિવસૈનિકોને ‘ઘરવાપસી’ માટે આહ્વાન કરતાં બૅનર લાગ્યાં
વરલીમાં આજે મરાઠીના મુદ્દે પક્ષથી ઉપર ઊઠીને માત્ર મરાઠી જનતાનો વિજય એવા ઉદ્દેશ સાથે વિજય-મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું છે અને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે દ્વારા ‘આવાઝ મરાઠીચા’ કહીને આમંત્રણ આપવામાં આવ્યું છે ત્યારે આ તક ઝડપી લઈને ‘આમ્હી ગિરગાવકર’ સંસ્થા દ્વારા જે લોકો પક્ષ છોડીને ગયા છે તેમને પાછા બોલાવવા ઘરવાપસી કરવા ઠેર-ઠેર બૅનર લગાડવામાં આવ્યાં છે જેમાં કહેવાયું છે કે ‘ચૂકીચી રિક્ષા પકડલીત, પરત યા… નાહીંતર ગુજરાતલા જાલ.’