ટ્રેનની અડફેટે જીવ ગુમાવનારા વડીલના શર્ટ પરના લેબલ પરથી તેમની ઓળખ થઈ

03 December, 2025 10:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શર્ટ બનાવનાર દરજીએ તેમના પરિવારનો પોલીસને સંપર્ક કરાવી આપ્યો

પ્રતીકાત્મક તસવીર

થાણેની ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ ટ્રેનની અડફેટે આવીને જીવ ગુમાવનાર વડીલની ઓળખ અનોખી રીતે કરી હતી. GRPએ ૮૨ વર્ષના વડીલના શર્ટ પરના લેબલ પરથી તેમના પરિવારને બે કલાકમાં જ શોધી કાઢ્યો હતો.

પોલીસે આપેલી માહિતી મુજબ સોમવારે ડોમ્બિવિલી રેલવે-સ્ટેશન નજીક એક વૃદ્ધ વ્યક્તિ ટ્રેનની અડફેટે આવી જતાં પાટા પરથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. મરનાર વ્યક્તિ પાસેથી કોઈ પણ દસ્તાવેજ કે આઇડેન્ટિટી પ્રૂફ મળ્યું ન હોવાથી GRP પાસે આ વ્યક્તિની ઓળખ કરવાનો કોઈ રસ્તો નહોતો. તપાસ દરમ્યાન પોલીસની ટીમે મરનારના શર્ટ પર એક લેબલ જોયું હતું. એના પરથી પોલીસે શર્ટ સીવનાર દરજીને શોધી કાઢ્યો. તેમણે દરજીને વૉટ્સઍપ પર મરનારનો ફોટો મોકલ્યો હતો. દરજીએ ફોટો પરથી વડીલની ઓળખ કરીને તેમના પરિવારનો કૉન્ટૅક્ટ-નંબર GRPને આપ્યો હતો. મરનાર વડીલની ઓળખ શશિકાંત ભોઈર તરીકે થઈ હતી. GRPએ તેમના દીકરાનો સંપર્ક કરીને મૃતદેહ પરિવારને સોંપ્યો હતો.

mumbai news mumbai thane mumbai police maharashtra news maharashtra