24 April, 2026 07:40 AM IST | Nashik | Gujarati Mid-day Correspondent
સપ્તશ્રુંગી દેવી મંદિર
મહારાષ્ટ્રના શક્તિપીઠ પૈકીના એક સપ્તશ્રુંગી દેવી મંદિરમાં ચાંદીની ચોરી થઈ છે. મંદિરના જૂના રેકૉર્ડ અને અત્યારે ઉપલબ્ધ ચાંદીના જથ્થામાં બાવીસ કિલો જેટલી ચાંદી ઓછી જણાતાં આ મામલે હવે ઍન્ટિ કરપ્શન બ્યુરો (ACB) તપાસ હાથ ધરશે.
મંદિરના સત્તાવાર રેકૉર્ડ મુજબ માતાજીના શણગાર અને અન્ય કાર્યો માટે કુલ ૪૦૬ કિલો ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં કરવામાં આવેલી ગણતરી દરમ્યાન માત્ર ૩૮૩ કિલો ૭૦૩ ગ્રામ ચાંદી મળી હતી. આમ અંદાજે બાવીસ કિલો ૪૯૦ ગ્રામ ચાંદી ગાયબ છે. ફરિયાદ બાદ નાશિક ડિવિઝનલ કમિશનરે આ મામલો ડિવિઝનલ ઍન્ટિ કરપ્શન બ્યુરોને સોંપ્યો છે.
તપાસ સમિતિ સમક્ષ ટ્રસ્ટના મૅનેજરે સ્વીકાર્યું હતું કે જ્યારે મંદિરમાંથી ચાંદી હટાવવામાં આવી ત્યારે પંચનામું, વજન કે સીલિંગ જેવી અનિવાર્ય પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું નહોતું એટલે ટ્રસ્ટના જ કોઈ જાણકારે આયોજનબદ્ધ ચોરી કરી હોવાની શંકા છે.