07 August, 2026 08:57 AM IST | Chhatrapati Sambhaji Nagar | Gujarati Mid-day Correspondent
મનીષ બ્રહ્મભટ્ટ
દિલ્હીના જંતર મંતર પર વિદ્યાર્થી-આંદોલનમાં ભાગ લીધો હોવાનો દાવો કરનારા અમદાવાદના બે યુવાનોએ કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજિત દીપકેના છત્રપતિ સંભાજીનગરના ઘરની બહાર વિરોધ-પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનમાં સામેલ મનીષ બ્રહ્મભટ્ટ અને રાહુલ પંડ્યા નામના આ યુવાનોએ આરોપ લગાવ્યો હતો કે તેમને CJPની કોર ટીમની મહત્ત્વની બેઠકમાંથી બાકાત રખાયા હતા. સંગઠનમાં આંતરિક લોકશાહીની સ્પષ્ટ માગણી સાથે મનીષ બ્રહ્મભટ્ટે અનિશ્ચિત મુદતના ઉપવાસ શરૂ કર્યા હતા, પણ પછી તેમને પોલીસ દ્વારા તાબામાં લેવામાં આવ્યા હતા.
ઉપવાસ પર બેઠેલા મનીષ બ્રહ્મભટ્ટે તીખો આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ‘અમને બીજા કેજરીવાલ નથી જોઈતા.’
તેમણે આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજકનો ઉલ્લેખ કરતાં ઉમેર્યું હતું કે ‘કૉક્રૉચ જનતા પાર્ટી દેશના તમામ યુવાનોનું આંદોલન છે અને એ સંપૂર્ણ લોકશાહી ઢબે ચાલવું જોઈએ. આંદોલનમાં યોગદાન આપનારા તમામ કાર્યકરોને બેઠકમાં બોલાવીને તેમનાં સૂચનો લેવાં જોઈએ. માત્ર સગાંસંબંધીઓ અને મિત્રો જ ભેગા મળીને ભવિષ્યનો નિર્ણય લઈ શકે નહીં.’
વિરોધ-પ્રદર્શનમાં સામેલ યુવાનોના આ અણધાર્યા વિરોધ બાદ કૉક્રૉચ જનતા પાર્ટીનો આંતરિક વિખવાદ જાહેર સપાટી પર આવ્યો છે.