06 September, 2026 09:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વિશ્વ હિન્દુ પરિષદ (VHP)એ મહારાષ્ટ્રમાં નવરાત્રિ દરમ્યાન થનારા રાસ-ગરબામાં મુસ્લિમોને પ્રવેશ ન આપવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત નવરાત્રિ માટે કેટલાક કડક નિયમો પણ તૈયાર કર્યા છે. નવરાત્રિ દરમ્યાન આયોજકોએ શું કરવું અને શું નહીં એની યાદી જ તેમણે આપી છે.
વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તા અને જૉઇન્ટ સેક્રેટરી શ્રીરાજ નાયરે કહ્યું હતું કે ‘નવરાત્રિમાં ગરબા અને દાંડિયામાં મુસ્લિમોને પ્રવેશ ન આપવાનું અમે નક્કી કર્યું છે. એ સિવાય હિન્દુઓની ઓળખ કરવા માટે તેમના આધાર કાર્ડની ચકાસણી કરવાની અને કપાળ પર તિલક કરવાની હાકલ પણ કરી છે. નવરાત્રિનો ઉત્સવ ફક્ત નાચવા-ગાવાનો નથી, સાથે માતાજીની ભક્તિનો પણ છે. મૂર્તિપૂજાનો વિરોધ કરતા મુસ્લિમોએ એમાં કેમ હાજર રહેવું જોઈએ? એથી મુસ્લિમોને નવરાત્રિમાં પ્રવેશ ન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. એમ છતાં VHP કોઈ સમુદાયની વિરોધમાં નથી. તહેવારો એ હિન્દુ સંસ્કૃતિનું અવિભાજ્ય અંગ છે. એનું મૂલ્ય અમે ઓછું નહીં થવા દઈએ. આ નિયમો સાવચેતી જાળવવા બનાવવામાં આવ્યા છે.’