29 April, 2026 11:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અકોલામાં ભયંકર ગરમીને લીધે પાકને ખાસ્સું નુકસાન થઈ રહ્યું છે ત્યારે ખેતરમાં રોપાને તડકાથી બચાવવા એને કાપડથી ઢાંકવામાં આવ્યા હતા
ગરમીનો પારો વધી રહ્યો છે અને એની માઠી અસર રાજ્યના વિદર્ભ અને મરાઠવાડા વિસ્તારમાં વધુ જોવા મળી રહી છે. ગઈ કાલે અકોલામાં તાપમાન ૪૭ ડિગ્રીએ પહોંચી ગયું હતું જ્યારે મરાઠવાડાના લાતુર જિલ્લાના પાનચિંચોલી ગામમાં ૭૫ વર્ષના વૃદ્ધ બપોરે ખેતરમાં ઢોર માટે ચારો કાપી રહ્યા હતા ત્યારે ગરમીને કારણે સ્ટ્રોક આવતાં તેમનું મોત થયું હતું. આ દુર્ઘટનાને કારણે લાતુર જિલ્લામાં ગરમીને લીધે મૃત્યુ પામનારાઓની સંખ્યા ૪ પર પહોંચી છે. હવામાન ખાતાએ રાજ્યના વિદર્ભ અને મરાઠવાડાના ઘણા જિલ્લાઓ માટે યલો અલર્ટ ઇશ્યુ કરી છે. સાથે જ આગામી બે દિવસ અકોલામાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી છે.
મુંબઈમાં ગઈ કાલે કોલાબા અને સાંતાક્રુઝમાં મહત્તમ ૩૩.૬ ડિગ્રી નોંધાયું હતું જ્યારે રામ મંદિરમાં ૩૫.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. મુંબઈમાં તાપમાનનો પારો નીચે ઊતરતો જાય છે પરંતુ ગરમી અને ઉકળાટનો અનુભવ લોકોને અકળાવી રહ્યો છે.