20 August, 2026 10:35 AM IST | Assam | Gujarati Mid-day Correspondent
સોમવારે આસામના શિવસાગર જિલ્લાના ડિસ્ટ્રિક્ટ કમિશનર મૃદુલ યાદવને મળીને કનકલતા દાસે પોતાની બચત તેમને સોંપી હતી
આસામના સોનિતપુર જિલ્લાના મજરોઈમારી ગામનાં ૧૦૩ વર્ષનાં કનકલતા દાસે પૂરગ્રસ્તો માટે પોતાની જીવનભરની બચત દાનમાં આપી દીધી છે. તેમની ઉદારતાએ રાજ્યભરના લોકોનાં દિલ જીતી લીધાં છે.
કનકલતા દાસના આ યોગદાનથી અભિભૂત થઈને કમિશનર તેમને પગે લાગ્યા હતા
તાજેતરના પૂરને કારણે શિવસાગર જિલ્લાના અમગુરી ગાર્ડન વિસ્તારના રહેવાસીઓએ જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે એ જાણ્યા પછી કનકલતા દાસે આ પરિવારોને મદદ કરવાનો નિર્ણય લીધો હતો. તેઓ ૨૬૪ કિલોમીટરનું અંતર કાપીને સોમવારે શિવસાગર જિલ્લા કમિશનરની ઑફિસમાં ગયાં હતાં જ્યાં તેમણે ૧.૫૪ લાખ રૂપિયાની તમામ બચત ડોનેટ કરી દીધી હતી. તેમણે ૭૭ પૂરગ્રસ્ત પરિવારોમાંથી દરેકને ૨૦૦૦ રૂપિયાનું દાન આપ્યું હતું. ડિસ્ટ્રિક્ટ કમિશનર મૃદુલ યાદવે દાન સ્વીકાર્યું અને તેમની ઉદારતા બદલ તેમનો આભાર માન્યો હતો.