16 September, 2026 05:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રી નમ્રમુનિ મહારાજસાહેબના સાંનિધ્યમાં ૧૧,૦૦૦ ભાવિકો
સમગ્ર દેશના ખૂણે-ખૂણેથી અને વિદેશના ૧૨૦થી વધુ દેશના મળીને લાખો ભાવિકોએ કરી સંવત્સરી આલોચના : ૩૦થી વધુ ભાવિકોએ કર્યા ૩૦ ઉપવાસ, ૨૫૦થી વધુ ભાવિકોની અઠ્ઠાઈ અને ૧૭૫થી વધુ લઘુ ધર્મચક્રતપ સાથે ૬૩૪થી વધુ ઉગ્ર તપસ્વીઓનો પારણા મહોત્સવ આજે યોજાશે
જીવંત વ્યક્તિ સાથે માત્ર હોઠની, ભાવ વિનાની જડ ક્ષમાપના ન કરીને હાર્ટથી, જીવંત ક્ષમાપના કરીને પ્રભુના આરાધક બની જવાનો બોધ પ્રસરાવીને રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબના સાંનિધ્યમાં સંવત્સરી મહાપર્વનો અવસર હજારો હૃદયમાં ક્ષમાના દીપક પ્રજ્વલિત કરી ગયો હતો.
સરી ગયું ફરીને એક સંવત્સર અને ફરીને આવી છે સંવત્સરી આપણા સૌના અંતરમાંથી વેર અને દ્વેષના ઝેરની શુદ્ધિ કરવા ત્યારે આ પર્વાધિરાજમાં અન્યની ભૂલોને ભૂલીને એવી ક્ષમાપના કરી લઈએ કે આ પર્વાધિરાજ સાર્થક બની જાય.
પરમ ગુરુદેવનાં ક્ષમાધર્મના આવાં અમૃત બોધવચનો સાથે બપોરના સમયે પર્વના પરમ કર્તવ્ય સ્વરૂપ આયોજિત સંવત્સરી આલોચના વિધિમાં સમગ્ર દેશ અને વિદેશનાં ૧૨૦થી વધુ ક્ષેત્રોના મળીને પ્રત્યક્ષ તેમ જ લાઇવના માધ્યમથી લાખો ભાવિકોએ બંધ આંખે જનમ-જનમના પાપદોષોની ગુરુ સાંનિધ્યમાં આલોચના કરી હતી.
વિશેષમાં પરમ સદ્ભાગ્યે મુંબઈગરાઓને પ્રાપ્ત થયેલા પરમ ગુરુદેવના સાંનિધ્યમાં એકસાથે ૧૧,૦૦૦ ભાવિકોએ સમૂહ પ્રતિક્રમણની આરાધના કરીને ‘મિચ્છા મિ દુક્કડં’નો દિવ્યનાદ ગુંજવતાં એક પવિત્ર અભૂતપૂર્વ ઇતિહાસ સર્જાયો હતો.
પર્વાધિરાજ પર્વની પૂર્ણતાએ આજે બુધવારે ૧૬ સપ્ટેમ્બરે આરાધ્યા ભક્તિ પાર્ક તેમ જ આરાધ્ય સાધના હૉલ, ભાનુશાલી બૅન્ક્વેટમાં પરમ ગુરુદેવના સાંનિધ્યમાં ૬૩૪થી વધુ ઉગ્ર તપશ્ચર્યા કરનારા ભાવિકોનો સામૂહિક પારણા મહોત્સવ આયોજિત કરવામાં આવ્યો છે. દરેક તપસ્વીની અનુમોદના કરવાનો લાભ ધર્મવત્સલા માનસી પરાગ શાહ પરિવાર દ્વારા લેવામાં આવ્યો છે.
માત્ર હોઠથી નહીં પણ હાર્ટથી લાઇફટાઇમની ક્ષમાપના કરી લઈએ.
પ્રભુએ આપ્યું એવું સંવત્સરીનું શ્રેષ્ઠ પર્વ કે હૈયું હળવું-હળવું બની જાય.
- નમ્રમુનિ