અયોધ્યાના રામ મંદિરના નામે નકલી પ્રસાદ વેચવા બદલ ઍમૅઝૉન ઇન્ડિયાને ૧ લાખ રૂપિયાનો દંડ

20 August, 2026 01:34 PM IST  |  Ayodhya | Gujarati Mid-day Correspondent

સામાન્ય મીઠાઈને ભગવાનનો પ્રસાદ ગણાવીને વેચી રહી હતી એક કંપની આ પ્લૅટફૉર્મ પર

ફાઇલ તસવીર

સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઑથોરિટી (CCPA) દ્વારા ઑનલાઇન શૉપિંગ પ્લૅટફૉર્મ ઍમૅઝૉન ઇન્ડિયા સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની કોઈ પણ પ્રકારની સત્તાવાર મંજૂરી વિના સામાન્ય મીઠાઈઓને રામ મંદિરના અસલી પ્રસાદ તરીકે વેચવા બદલ કંપનીને ૧ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT) દ્વારા જાન્યુઆરી ૨૦૨૪માં આ મોટા અને ગંભીર કૌભાંડ વિશે ફરિયાદ કરવામાં આવી હતી. ચંદુ ટ્રેડિંગ કંપની દ્વારા ઍમૅઝૉન પર લાડુ અને પેંડા જેવી સામાન્ય મીઠાઈઓને રામ મંદિર પ્રસાદ કહીને ખુલ્લેઆમ વેચવામાં આવતી હતી. આ નકલી પ્રસાદના વેચાણથી કુલ ૩૯,૮૦૨ રૂપિયાની આવક થઈ હતી, જેમાંથી ઍમૅઝૉને ૧૫,૧૬૫ રૂપિયાનું કમિશન મેળવ્યું હતું.

ઍમૅઝૉને બચાવમાં પોતે માત્ર એક મધ્યસ્થી હોવાની દોરતી દલીલ કરી હતી, પરંતુ ઑથોરિટીએ ફગાવી દીધી હતી. દેશના અનેક ગ્રાહકોની ધાર્મિક ભાવનાઓ સાથે છેતરપિંડી થઈ હોવાનું સ્પષ્ટપણે નોંધવામાં આવ્યું હતું. કંપનીને આગામી ૧૫ દિવસમાં દંડની રકમ જમા કરાવવાનો આદેશ અપાયો છે. હવેથી કોઈ પણ ધાર્મિક સંસ્થાના પ્રમાણપત્ર વિના પ્રસાદ શબ્દનો ઉપયોગ કરીને નકલી વસ્તુઓ વેચવા પર સખત પ્રતિબંધ મુકાયો છે.

ayodhya ram mandir uttar pradesh amazon national news news