25 December, 2025 05:02 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ
ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની આજે 101 મી જન્મજયંતિ છે. આ પ્રસંગે ભૂતપૂર્વ વડા પ્રધાનને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે વાજપેયીની યાદ કરતાં એક વાર્તા કહી. સિંહે પાકિસ્તાનની વાજપેયીની મુલાકાતનો એક કિસ્સો જણાવતા કહ્યું કે “એક મહિલાએ તેમને લગ્ન કરવા કહ્યું, અને વાજપેયીએ હે જવાબ આપ્યો તે નોંધપાત્ર હતો.” આજે ભૂતપૂર્વ વડા પ્રધાનની 101 મી જન્મજયંતિ છે. વાજપેયીનો જન્મ 1924 માં ગ્વાલિયરમાં થયો હતો. સરકાર તેમની જન્મજયંતિને સુશાસન દિવસ તરીકે ઉજવે છે.
એક કાર્યક્રમ દરમિયાન, રાજનાથ સિંહે યાદ કર્યું કે “પાકિસ્તાનમાં વાજપેયીની મુલાકાત દરમિયાન, એક મહિલાએ તેમના ભાષણથી પ્રભાવિત થઈને પૂછ્યું હતું કે, "શું તમે મારી સાથે લગ્ન કરશો અને બદલામાં મને કાશ્મીર આપશો?" ત્યારે ભૂતપૂર્વ વડા પ્રધાને જવાબ આપ્યો, "હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું, પણ મને દહેજ તરીકે પાકિસ્તાન જોઈએ છે." સંરક્ષણ પ્રધાને કહ્યું, "અટલ બિહારી વાજપેયીમાં રમૂજની અદ્ભુત ભાવના હતી."
રાજનાથ સિંહે કહ્યું કે ભૂતપૂર્વ વડા પ્રધાન વાજપેયીના ભાષણોની સૌથી સારી વાત એ હતી કે તેઓ ક્યારેય શિષ્ટાચારની મર્યાદા ઓળંગતા નહોતા, ભલે તેમના રાજકીય વિરોધીઓ પર હુમલો કરતા હોય. આ જ કાર્યક્રમમાં હિમાચલ પ્રદેશની એક ઘટનાને યાદ કરતા સિંહે કહ્યું કે વાજપેયીએ તત્કાલીન મુખ્ય પ્રધાન વીરભદ્ર સિંહની હાજરીમાં કહ્યું હતું કે ત્યાંના મંત્રીઓ ‘ભદ્ર’ (સંસ્કારી) હતા પણ ‘વીર’ (બહાદુર) નહોતા. રાજનાથ સિંહે 1994 ની એક ઘટનાને પણ યાદ કરી, જ્યારે ભારતીય જનતા પાર્ટીનો વિસ્તાર થઈ રહ્યો હતો અને ઘણા લોકો ભાજપમાં જોડાઈ રહ્યા હતા. તેમણે કહ્યું કે વાજપેયીએ પોતાની કાવ્યાત્મક સ્ટાઇલમાં એક જાહેર સભામાં આ વિકાસનું વર્ણન કરતા કહ્યું હતું કે જેમ સુંદર, મોટી આંખો જોવાથી આનંદ મળે છે, તેવી જ રીતે કોઈના વંશ અને પરિવારનો વિકાસ થતો જોવાથી પણ ખૂબ આનંદ મળે છે.
ઉલ્લેખનીય છે કે અટલ બિહારી વાજપેયી ૧૯૯૧ થી ૨૦૦૯ સુધી લખનઉથી લોકસભા સાંસદ તરીકે સેવા આપી હતી. અટલ બિહારી વાજપેયીના સન્માનમાં આયોજિત કાર્યક્રમમાં રાજનાથ સિંહે કહ્યું કે ભૂતપૂર્વ વડા પ્રધાન હંમેશા ધ્યાનમાં રાખતા હતા કે ઉપર આવવું અને એકલા પડવું એ એક જ વસ્તુ નથી. સિંહે કહ્યું કે આ ભાવના વાજપેયીની પ્રખ્યાત કવિતા ‘ઊંચાઈ’માં વ્યક્ત કરવામાં આવી હતી, જે ૧૯૯૨ માં પદ્મ વિભૂષણ પ્રાપ્ત કર્યા પછી લખાઈ હતી.