16 February, 2026 10:13 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
બૅન્ગલોરના ડબલ મર્ડર કેસમાં જે દીકરા પર પારિવારિક ઝઘડાને કારણે માતા-પિતાને મારી નાખવાનો આરોપ હતો તેના હાથે જ પેરન્ટ્સના અગ્નિસંસ્કાર થયા હતા. ૧૧ ફેબ્રુઆરીએ રિટાયર્ડ નેવી કૅપ્ટન નવીન ચંદ્ર ભટ અને તેમની ડેન્ટિસ્ટ પત્ની શ્યામલા ભટની હત્યા કથિત રીતે તેમના જ સૉફ્ટવેઅર એન્જિનિયર દીકરા રોહન ચંદ્ર ભટે કરી હતી. રોહને બન્ને પર ચાકુના ઘા કર્યા હોવાનો આરોપ છે અને એ માટે પોલીસે તેને અરેસ્ટ પણ કરી લીધો હતો.
રોહન બેરોજગાર હતો અને છેલ્લાં કેટલાંક વર્ષોથી ડિપ્રેશનમાં હતો. અરેસ્ટ પછી તેની મેડિકલ તપાસ કરવામાં આવી હતી અને તેનો હૉસ્પિટલમાં ઇલાજ પણ શરૂ કરવામાં આવ્યો છે.
શુક્રવારે મરનાર યુગલની દીકરી રશ્મિ અમેરિકાથી ભારત આવી હતી અને તેણે કોર્ટમાં અરજી કરી હતી કે તેના પેરન્ટ્સના અંતિમ સંસ્કારમાં તેનો ભાઈ અને પરિવારનો એકનો એક દીકરો હાજર રહે એની પરવાનગી મળે. કોર્ટે મંજૂરી આપતાં પરિવારની પરંપરા અનુસાર રોહને જ માતા-પિતાના અંતિમ સંસ્કાર કર્યા હતા.