`વન નેશન, વન હસબન્ડ` ટિપ્પણી પર વિવાદ: CM ભગવંત માનના નિવેદનથી રાજકારણ ગરમાયું

04 June, 2025 06:56 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

BJP asks Punjab CM Bhagwant Mann for resignation: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા `ઑપરેશન સિંદૂર` પર કરવામાં આવેલી ટિપ્પણી પર હોબાળો મચી ગયો છે. ભારતીય જનતા પાર્ટીએ આ અંગે તેમના પર આકરા પ્રહાર કર્યા છે.

ભગવંત માન (ફાઇલ તસવીર સૌજન્ય: મિડ-ડે)

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા `ઑપરેશન સિંદૂર` પર કરવામાં આવેલી ટિપ્પણી પર હોબાળો મચી ગયો છે. ભારતીય જનતા પાર્ટીએ આ અંગે તેમના પર આકરા પ્રહાર કર્યા છે. ભાજપના પંજાબ પ્રવક્તા પ્રીતપાલ સિંહ બાલીવાલે માનના નિવેદનને અસંવેદનશીલ અને શરમજનક ગણાવ્યું. મુખ્યમંત્રી ભગવંત માને એક પત્રકાર પરિષદમાં ઑપરેશન સિંદૂર વિશે કહ્યું, `શું તમે મોદીના નામનો સિંદૂર લગાવશો? શું આ વન નેશન, વન હસબન્ડ?` ભાજપે આ નિવેદનને ભારતીય સેના અને બહાદુર મહિલાઓનું અપમાન ગણાવ્યું છે. ઉપરાંત, માન પાસેથી તાત્કાલિક રાજીનામું અને માફીની માગ કરી છે.

પ્રીતપાલ સિંહ બલિયાવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સીએમ માનના નિવેદનનો વીડિયો શૅર કર્યો છે. તેમણે કહ્યું કે ઑપરેશન સિંદૂરનો હેતુ આતંકવાદીઓ દ્વારા હિન્દુઓની ધાર્મિક ઓળખ, જેમ કે સિંદૂરના આધારે તેમને નિશાન બનાવીને તેમની હત્યાનો જવાબ આપવાનો હતો. તેમણે કહ્યું કે આ ઑપરેશન આતંકવાદ, શહીદી અને ભારતીય નાગરિકોની સુરક્ષા સાથે સંબંધિત હતું, પરંતુ માને તેની મજાક ઉડાવીને સેના અને પવિત્ર પ્રતીકોનું અપમાન કર્યું છે. ભાજપે કહ્યું કે સીએમ માન સિંદૂરનું મહત્ત્વ સમજતા નથી અને તેને હળવાશથી લઈને તેમણે દેશની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.

ભાજપ નેતાએ મુખ્યમંત્રી ભગવંત માન પર હુમલો કર્યો
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારીએ પણ ભગવંત માનની ટિપ્પણીની નિંદા કરી છે. તેમણે માનના નિવેદનને ભારતીય સશસ્ત્ર દળોનું અપમાન ગણાવ્યું છે. તેમણે કહ્યું કે વિપક્ષ વારંવાર તેની ભારત વિરોધી માનસિકતાનો પ્રદર્શન કરે છે. ભંડારીએ માનના નિવેદનને શરમજનક અને સેના માટે નિરાશાજનક ગણાવ્યું. ભાજપે આગ્રહ કર્યો કે મુખ્યમંત્રી માન પોતાના નિવેદન માટે આખા દેશની માફી માગે અને તાત્કાલિક પોતાના પદ પરથી રાજીનામું આપે. ઉલ્લેખનીય છે કે ઑપરેશન સિંદૂર 7 મેના રોજ શરૂ કરવામાં આવ્યું હતું, જે 22 એપ્રિલના રોજ પહલગામમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાનો જવાબ હતો, જેમાં 26 લોકો માર્યા ગયા હતા. આ કાર્યવાહીમાં, ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યું હતું. તેમાં જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા સંગઠનો સાથે જોડાયેલા 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા.

પંજાબના મુખ્યમંત્રીનું વિવાદાસ્પદ નિવેદન
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ભાજપ ઘરે ઘરે જઈને સિંદૂર વહેંચશે, તેમણે કહ્યું હતું કે શું તમે મોદીના નામનું સિંદૂર લગાવશો? શું આ એક રાષ્ટ્ર, એક પતિ યોજના છે? આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા કેન્દ્રીય મંત્રી રવનીત સિંહે કહ્યું કે તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે સીએમ ભગવંત માન `એક રાષ્ટ્ર, એક પતિ` જેવી વાંધાજનક ટિપ્પણી કરીને પહલગામ હત્યાકાંડમાં માર્યા ગયેલા આતંકવાદી પીડિતોની વિધવાઓની મજાક ઉડાવશે.

bhagwant mann punjab operation sindoor indian army indian air force bharatiya janata party aam aadmi party ind pak tension political news indian politics dirty politics national news news narendra modi