02 August, 2026 10:52 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે વારાણસીના થાના કોતવાલીમાં જઈને સંતોએ સંસદસભ્યો સામે FIR નોંધવાની અરજી કરી હતી.
રામ મંદિરમાં થયેલી દાનચોરી સંબંધે સંસદ પરિસરમાં શુક્રવારે વ્યંગાત્મક નાટક ભજવનારા સંસદસભ્યો પૈકી લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, સ્વતંત્ર સંસદસભ્ય રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવ અને સમાજવાદી પાર્ટીના સંસદસભ્ય અવધેશ પ્રસાદ પર સનાતન ધર્મનું અપમાન કરવા બદલ કાશીમાં કેસ નોંધવામાં આવ્યો છે.
આ સંદર્ભમાં કાશી ઝોનના ડેપ્યુટી પોલીસ કમિશનર ગૌરવ બંસવાલના જણાવ્યા અનુસાર કેટલાક સંતો દ્વારા કોતવાલી પોલીસ સ્ટેશનમાં દાખલ કરાયેલી ઔપચારિક ફરિયાદના આધારે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવામાં આવ્યો હતો. સંતોએ આરોપ લગાવ્યો હતો કે ત્રણેય સંસદસભ્યોએ સંસદમાં સનાતન ધર્મનું અપમાન કર્યું છે.
જગતગુરુ બાલક દાસે પપ્પુ યાદવના વર્તનને અક્ષમ્ય ગણાવતાં કહ્યું હતું કે ‘સનાતન ધર્મનો કોઈ પણ અનુયાયી આ કૃત્ય ભૂલી શકે નહીં. એનાથી અમારી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે. તેથી અમે માગણી કરી છે કે કેસ નોંધવામાં આવે.’