11 August, 2022 01:46 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
દિલ્હીમાં કોરોનાના સતત વધી રહેલા કેસને જોતા દિલ્હી સરકારે રાજ્યમાં જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. હવે જાહેર સ્થળોએ માસ્ક ન પહેરવા પર 500 રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે. ખાનગી કારમાં મુસાફરી કરતી વખતે આ નિયમ લાગુ થશે નહીં.
બુધવારે રાજધાનીમાં કોરોના સંક્રમણના 2,146 કેસ નોંધાયા હતા. આ સાથે જ સંક્રમણને કારણે આઠ દર્દીઓનાં મોત પણ થયા છે. રાજધાનીમાં સંક્રમણનો દર વધીને 17.83 થઈ ગયો છે. તે જ સમયે, સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 8205 થઈ ગઈ છે. બીજી તરફ, દિલ્હીમાં ઝડપથી ફેલાતા કોરોના પાછળ ઓમિક્રોનનું નવું સબ-વેરિઅન્ટ BA 2.75 છે.
લોક નાયક હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર ડૉ સુરેશ કુમારે એક મીડિયા હાઉસેને જણાવ્યું હતું કે “ઓમિક્રોનનું નવું સબ-વેરિઅન્ટ લોકોને ઝડપથી સંક્રમિત કરી રહ્યું છે. આ પેટા વેરિઅન્ટ કોરોના રસી મેળવનાર લોકોને પણ ચેપ લગાવી શકે છે. જો કે આ મામલે હજુ વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.
ડૉ. સુરેશે જણાવ્યું કે, કોરોનાના કેસમાં ઘટાડાની સાથે લોકોએ કોવિડ પ્રોટોકોલને અનુસરવાનું ઓછું કર્યું છે. તે ન થવું જોઈએ. તેમણે કહ્યું કે કેસ વધી રહ્યા છે, પરંતુ તેમાં ઓછા ગંભીર લક્ષણો છે. ડાયાબિટીસ, હાર્ટ, ટીબી જેવી ગંભીર બીમારીઓથી પીડિત લોકોને ઘણું જોખમ છે.” તેમણે કહ્યું કે “કોરોના હજી પૂરો થયો નથી, જે લોકો ત્રણ મહિના પહેલાં સંક્રમિત થયા હતા તેઓ ફરી કોવિડ સંક્રમિત થઈ રહ્યા છે.