05 June, 2026 09:39 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
દિલ્હીના માલવીય નગર વિસ્તારમાં આવેલી હોટેલ ફ્લરિશ સ્ટે B ઍન્ડ B (બ્રેડ ઍન્ડ બ્રેકફાસ્ટ)માં બુધવારે સવારે લાગેલી ભીષણ આગમાં ૨૧ નિર્દોષ જિંદગીઓ હોમાઈ ગઈ હતી. આ હૃદયદ્રાવક દુર્ઘટનામાં સૌથી વધુ હચમચાવી દેતો બનાવ ગ્રાઉન્ડ ફ્લોરના એક બંધ બાથરૂમમાં બન્યો હતો જ્યાં મોતના મુખમાં હોવા છતાં એકબીજાનો સાથ ન છોડનાર આફ્રિકન દંપતીના મૃતદેહ આલિંગન કરેલી સ્થિતિમાં મળી આવ્યા હતા.
ફાયર-બ્રિગેડ જ્યારે ધુમાડાથી ભરેલી રૂમનો દરવાજો તોડીને અંદર પ્રવેશી ત્યારે બાથરૂમમાં મહિલા ટૉઇલેટ-સીટ પર બેઠી હતી અને પુરુષ તેની બાજુમાં ખુરસી પર બેસીને તેને આલિંગન આપી રહ્યો હોય એવી સ્થિતિમાં બન્ને મૃત હાલતમાં જોવા મળ્યાં હતાં. અધિકારીઓના મતે આ કપલ ઇન્ફર્ટિલિટીની ટ્રીટમેન્ટ માટે ભારત આવ્યું હતું. આ દંપતીએ બચવા માટે બાથરૂમને લૉક કરી લીધું હતું, પરંતુ કમનસીબે ધુમાડો તેમના શ્વાસ રૂંધી ગયો અને મદદ પહોંચે એ પહેલાં જ બન્નેએ હંમેશ માટે વિદાય લઈ લીધી હતી.
રિયાઝુદ્દીન મન્સૂરી અને તેમના દીકરા અરમાન બન્યા દેવદૂત
જ્યારે હોટેલની ઇમારતમાં ફસાયેલા લોકો જીવ બચાવવા માટે ઉપરથી નીચે કૂદવા મજબૂર બન્યા હતા ત્યારે નજીકમાં જ ગાદલાંની દુકાન ધરાવતા રિયાઝુદ્દીન મન્સૂરી અને તેમના દીકરા અરમાન દેવદૂત બનીને આવ્યા હતા. બાપ-દીકરાએ જરાય સમય ગુમાવ્યા વિના પોતાના આશરે બે લાખ રૂપિયાનાં પચીસ ગાદલાં અને રજાઈ રસ્તા પર બિછાવી દીધાં હતાં. ઉપરથી કૂદનારા લોકો આ ગાદલા પર પડતાં તેમના જીવ બચ્યા હતા. રિયાઝુદ્દીનની આ ત્વરિત સૂઝબૂઝ અને ઉદારતાને કારણે આશરે ૮ લોકોના જીવ બચ્યા હતા.