દિલ્હીની હોસ્ટેલ જમીનદોસ્ત થવાની ઘટના સીસીટીવીમાં કેદ, મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ

07 September, 2026 11:36 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Delhi PG Building Collapse: દિલ્હીના સત્યનિકેતનમાં ૬ સપ્ટેમ્બરના રોજ વિદ્યાર્થીઓ માટેની એક પાંચ માળની હોસ્ટેલ સેકન્ડોમાં ધરાશાયી થતાં છ લોકોના મોત, અનેક ઘાયલ; દુર્ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ સત્તાવાળાઓએ મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા

ઇમારત ધરાશાયી થયા બાદ બીજા દિવસે બચાવ કામગીરી દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા સ્થળ પર (તસવીર સૌજન્યઃ પીટીઆઇ)

દક્ષિણ-પશ્ચિમ દિલ્હી (Delhi)ના સત્યનિકેતન (Satya Niketan)માં રવિવાર, ૬ સપ્ટેમ્બરના રોજ વિદ્યાર્થીઓ માટે પીજી (પેઇંગ ગેસ્ટ) તરીકે વપરાતી પાંચ માળની ઈમારત ધરાશાયી થવાની ઘટનાના નાટકીય સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. દિલ્હી યુનિવર્સિટીના સાઉથ કેમ્પસ નજીક આવેલી એક સાંકડી ગલીમાં બપોરે લગભગ ૧:૩૦ વાગ્યે સર્જાયેલી આ ભીષણ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા છ લોકોના મોત (Delhi PG Building Collapse) થયા છે અને અન્ય કેટલાક લોકો ઘાયલ થયા છે.

સેકન્ડોમાં ઈમારત જમીનદોસ્ત થતી વિડિયોમાં જોવા મળી

સામે આવેલા નવા સીસીટીવી દ્રશ્યોમાં ૫૦ વર્ષ જૂની આ બહુમાળી ઈમારત અચાનક નમી પડે છે અને સેકન્ડોમાં જ ધૂળની ડમરીઓ વચ્ચે કાટમાળમાં ફેરવાઈ જતી જોવા મળે છે. સાંકડી ગલીમાં ધૂળના વાદળો છવાઈ જતાં આસપાસના રહેવાસીઓ ભૂકંપ આવ્યો હોવાની આશંકાથી ઘરની બહાર દોડી આવ્યા હતા.

સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, "હોસ્ટેલ ડેઝ" તરીકે ઓળખાતી આ ઈમારત ધરાશાયી થઈ ત્યારે અંદર કેટલાક લોકો હાજર હતા. ઈમરજન્સી ટીમો પહોંચે તે પહેલાં જ આસપાસના કોલેજ સભ્યો અને સ્થાનિક રહેવાસીઓએ પોતાની રીતે બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી અને કાટમાળ ખસેડવાનું શરૂ કર્યું હતું.

રાતોરાત હાથ ધરાયેલું સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન

નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), દિલ્હી ફાયર સર્વિસ, SDRF અને દિલ્હી પોલીસની ટીમોએ રાતોરાત વ્યાપક બચાવ કામગીરી હાથ ધરી હતી. ઇમરજન્સી કર્મચારીઓએ કાટમાળ નીચેથી ૧૧ લોકોને બહાર કાઢીને AIIMS ના JPN એપેક્સ ટ્રોમા સેન્ટર અને સફદરજંગ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

તબીબી અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે AIIMS લાવવામાં આવેલા દર્દીઓમાંથી પાંચને મૃત જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય એક ગંભીર રીતે ઘાયલ વ્યક્તિએ મોડી રાત્રે દમ તોડ્યો હતો. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (સાઉથવેસ્ટ) અમિત ગોયલે પુષ્ટિ કરી હતી કે મોડી રાત્રે હાથ ધરાયેલી કામગીરી બાદ મૃત્યુઆંક વધીને છ થયો છે. હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા ત્રણ ઈજાગ્રસ્તોમાંથી એકની ઓર્થોપેડિક સર્જરી કરવામાં આવી રહી છે.

અનધિકૃત બાંધકામ અને સમારકામની બેદરકારી અંગે તપાસ શરૂ

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ઈમારતને માત્ર ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોર માટે જ મંજૂરી આપવામાં આવી હતી, જેનો અર્થ એ થાય છે કે ઉપરના માળ ગેરકાયદેસર રીતે બાંધવામાં આવ્યા હતા. તપાસકર્તાઓ અને સ્થાનિક રહેવાસીઓએ નોંધ્યું હતું કે હાલમાં ચાલી રહેલા બેઝમેન્ટ રિનોવેશનના કામ અને તાજેતરના વરસાદના કારણે થયેલા ભારે જળભરાવને કારણે આ જૂના પાયાની મજબૂતી નબળી પડી ગઈ હતી.

મુખ્યમંત્રી રેખા ગુપ્તા (Rekha Gupta)ના નેતૃત્વ હેઠળની દિલ્હી સરકારે આ દુર્ઘટના અંગે વિધિવત મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે. બીજી તરફ, દિલ્હી પોલીસે ઈમારતના માલિક અને સંચાલકો સામે સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર (FIR) નોંધી છે.

MCD નો ગેરકાયદે બાંધકામો સામે સમગ્ર દિલ્હીમાં સીલિંગ ડ્રાઇવનો આદેશ

આ જીવલેણ ઘટના બાદ, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (Municipal Corporation of Delhi) એ ધરાશાયી થયેલી જગ્યાને જોખમી માળખું જાહેર કર્યું છે અને રાષ્ટ્રીય રાજધાનીમાં ચાર માળથી વધુના તમામ ગેરકાયદે બાંધકામોને તાત્કાલિક સીલ કરવાનો આદેશ આપ્યો છે.

સાવચેતીના ભાગરૂપે, નાગરિક સત્તાવાળાઓએ નજીકમાં આવેલી એક જર્જરિત ગર્લ્સ પીજી હોસ્ટેલને ખાલી કરાવીને સીલ કરી દીધી છે. શ્રી વેંકટેશ્વર કોલેજ સહિતની નજીકની શૈક્ષણિક સંસ્થાઓએ સોમવાર, ૭ સપ્ટેમ્બરના રોજ વર્ગો સ્થગિત રાખ્યા છે અને આ દુર્ઘટનામાં વિસ્થાપિત થયેલા વિદ્યાર્થીઓને ઈમરજન્સી આશ્રય અને ભોજન પૂરું પાડવા માટે તેમના કેમ્પસ ખુલ્લા મૂક્યા છે.

new delhi rekha gupta national disaster response force NDRF delhi cm national news news