આપણે માતા વૈષ્ણોદેવીનાં દર્શને જવું પડશે, લોકોને આહ‍્વાન કરવું પડશે

04 June, 2025 11:59 AM IST  |  Srinagar | Gujarati Mid-day Correspondent

કાશ્મીરમાં પર્યટકોની ઘટતી સંખ્યાથી ચિંતિત ફારુક અબદુલ્લા કહે છે…

ફારુક અબદુલ્લા

જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને નૅશનલ કૉન્ફરન્સના અધ્યક્ષ ફારુક અબદુલ્લાએ રાજ્યમાં ઘટતી પર્યટકોની સંખ્યાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. ગઈ કાલે તેમણે જણાવ્યું હતું કે ‘હાલમાં જ બનેલી હિંસાત્મક ઘટનાઓ અને યુદ્ધ જેવી પરિસ્થિતિમાં લોકોમાં ડરનો માહોલ સર્જાયેલો છે. આપણે માતા વૈષ્ણોદેવીના દરબાર જઈને લોકોને આહ‍્વાન કરવું પડશે. આપણે લોકોને આકર્ષવા માટે માતા વૈષ્ણોદેવીના આશીર્વાદ લેવાની જરૂર છે. આપણે કટરા જઈને લોકોને વિનંતી કરવી જોઈએ કે તેઓ માતા વૈષ્ણોદેવીનાં દર્શન માટે આવે. પવિત્ર યાત્રામાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. તાજેતરમાં પહલગામમાં બનેલી ઘટનાની અસર સમગ્ર દેશમાં અનુભવાઈ છે.’

ફારુક અબદુલ્લાએ તાજેતરમાં કટરા ખાતે એક આશ્રમમાં યોજાયેલા ભજન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ત્યાં તેમણે ‘તૂને મુઝે બુલાયા શેરાવાલીએ’ ભજન ગાઈને હાજર શ્રદ્ધાળુઓને આશ્ચર્યચકિત કર્યા હતા. તેમણે કટરા ખાતે રોપવે પ્રોજેક્ટ વિશે પણ પોતાની ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે મંદિરના સંચાલકોને એવું કોઈ કાર્ય ન કરવું જોઈએ જેનાથી સ્થાનિક લોકોનાં હિતોને નુકસાન પહોંચે.

jammu and kashmir kashmir travel travel news religion religious places national news news