07 June, 2025 08:35 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
વડા પ્રધાન મોદી, વડા પ્રધાન માર્ક જે. કાર્ની
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કૅનેડાના નવા નિમાયેલા વડા પ્રધાન માર્ક જે. કાર્નીએ ફોન કર્યો હતો. આ દરમ્યાન વડા પ્રધાન મોદીએ કાર્નીને ચૂંટણીમાં જીત બદલ શુભેચ્છા આપી હતી. ત્યાર બાદ માર્ક કાર્નીએ G7 શિખર સંમેલનમાં સામેલ થવા માટે નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું છે. વડા પ્રધાન મોદીએ કાર્નીના ફોન અંગે સોશ્યલ મીડિયા પર માહિતી આપીને કહ્યું હતું કે ‘કૅનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીએ મને ફોન કર્યો હતો. કૅનેડાની ચૂંટણીમાં જીત બદલ મેં તેમને અભિનંદન પાઠવ્યાં છે. તેમણે ભારતને G7 શિખર સંમેલન માટે આમંત્રણ આપ્યું છે જે બદલ મેં તેમનો આભાર વ્યક્ત કર્યો છે. જીવંત લોકશાહી તરીકે ભારત અને કૅનેડા પરસ્પર આદર અને સહિયારાં હિતો માટે નવા ઉત્સાહ સાથે કામ કરવા તૈયાર છે. અમે આ સંમેલનમાં મળવા માટે આતુર છીએ.’
ભારત-કૅનેડાના સંબંધો
કૅનેડાના અગાઉના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ૨૦૨૩માં ભારત સાથે સંબંધો બગાડ્યા હતા. તેમણે ખાલિસ્તાની નિજ્જરની હત્યાના મામલે ભારત પર આક્ષેપ કર્યો હતો. ત્યાર બાદ બન્ને દેશો વચ્ચે તનાવ વધ્યો હતો. ત્યાર બાદ આંતરિક બળવો થવાને કારણે ટ્રુડોએ વડા પ્રધાનપદ છોડવું પડ્યું હતું. ટ્રુડો બાદ માર્ક કાર્ની કૅનેડાના નવા વડા પ્રધાન બન્યા છે.