29 August, 2026 08:36 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ભારતમાં ૨૦ ટકા એથનૉલ મિશ્રિત E20 પેટ્રોલમાં ક્લોરાઇડ અને પાણીની ભેળસેળને કારણે વાહનોનાં એન્જિન ખરાબ થવાની ફરિયાદો ઊઠતાં સરકારે અત્યંત કડક કાર્યવાહી કરી હતી. પેટ્રોલિયમ મંત્રાલયે ગઈ પચીસ ઑગસ્ટે દેશભરનાં ૨૫૭૩ પેટ્રોલ-પમ્પ પર વેચાણ સંપૂર્ણપણે બંધ કરાવી દીધું છે જેમાં ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન (IOCL)નાં ૧૨૫૭, હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL)નાં ૯૧૫ અને ભારત પેટ્રોલિયમ (BPCL)નાં ૪૦૧ પમ્પ સામેલ છે.
સોસાયટી ઑફ ઇન્ડિયન ઑટોમોબાઇલ મૅન્યુફૅક્ચરર્સ (SIAM) દ્વારા આના વિશે અહેવાલ આપવામાં આવ્યો હતો. મારુતિ સુઝુકી, તાતા મોટર્સ અને મહિન્દ્રા જેવી કંપનીઓનાં ખાનગી ટેસ્ટિંગમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા. સરકારી નિયમ મુજબ પેટ્રોલમાં ક્લોરાઇડનું મહત્તમ પ્રમાણ ૩ ppm હોવું જોઈએ, પરંતુ રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સહિતનાં રાજ્યોમાં આ પ્રમાણ ૫૭૦ ppm સુધી નોંધાયું છે. આંધ્ર પ્રદેશમાં પાણીનું પ્રમાણ પણ મર્યાદા કરતાં ચાર ગણું વધુ જોવા મળ્યું છે. વધુ પડતા ક્લોરાઇડના કારણે આધુનિક વાહનોના એન્જિન માત્ર ૨૦૦ કિલોમીટરમાં જ ખરાબ થઈ શકે છે.
આ ગંભીર ખતરાને જોતાં ઑઇલ માર્કેટિંગ કંપનીઓએ હવે દિવસમાં આઠથી ૧૨ વખત અન્ડરગ્રાઉન્ડ ટૅન્કનું વૉટર-ટેસ્ટિંગ ફરજિયાત બનાવ્યું છે. ગ્રાહકોને થઈ રહેલા આર્થિક નુકસાન અને વાહનોની વૉરન્ટીના પ્રશ્નોને ઉકેલવા સરકારે દેશભરનાં ૮૮,૦૦૦થી વધુ પમ્પ પર સઘન ચેકિંગ શરૂ કર્યું છે.