09 July, 2026 01:35 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બેનીઝ સાથે (મિડ-ડે)
ભારત અને ઓસ્ટ્રેલિયા (India Australia Deal) વચ્ચે યુરેનિયમ સપ્લાયને લઈને મહત્વપૂર્ણ કરાર કરવામાં આવ્યો છે. આ કરારથી ભારતના પરમાણુ વીજ મથકો માટે લાંબા સમય સુધી યુરેનિયમનો સ્થિર પુરવઠો મળી શકશે. આથી દેશની પરમાણુ ઊર્જા ક્ષમતા વધારવામાં મદદ મળશે. જોકે, આ કરારથી પેટ્રોલ અને ડીઝલની આયાતમાં તરત ઘટાડો નહીં થાય. પરંતુ લાંબા ગાળે ભારતની ઊર્જા સુરક્ષા મજબૂત કરવા અને ફોસિલ ફ્યુઅલ પરની નિર્ભરતા ઘટાડવા માટે આ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ માત્ર બે દેશો વચ્ચેનો સંઘર્ષ નથી, પરંતુ તેની અસર આખી દુનિયા પર પડી શકે છે. ઈરાન સાથેના તણાવની સૌથી મોટી અસર વૈશ્વિક ઊર્જા સપ્લાય પર જોવા મળી છે. ખાસ કરીને હોર્મુઝ જળમાર્ગમાં સંકટ વધતા દુનિયાભરમાં ચિંતા વધી ગઈ હતી. હોર્મુઝ જળમાર્ગ બંધ થવાથી પેટ્રોલ-ડીઝલથી લઈને ગેસ સુધીની સપ્લાયમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. હોર્મુઝ વિશ્વમાં તેલ અને ગેસના વેપાર માટેનો એક મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે. દુનિયાનો લગભગ 20 ટકા કાચો તેલ આ જ માર્ગ પરથી પસાર થાય છે. ભારત પણ પોતાની તેલની જરૂરિયાતનો મોટો હિસ્સો હોર્મુઝ માર્ગથી આવતા તેલથી પૂરો કરે છે. તેથી હોર્મુઝમાં કોઈપણ પ્રકારનું સંકટ વધે ત્યારે ભારતની ચિંતા પણ વધી જાય છે. આ જ કારણ છે કે ભારત હવે ભવિષ્યમાં હોર્મુઝ જળમાર્ગ પરની પોતાની નિર્ભરતા ઘટાડવાની દિશામાં આગળ વધી રહ્યું છે. અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે ભારતે ઓસ્ટ્રેલિયા(India Australia Deal) સાથે યુરેનિયમને લઈને એક મહત્વપૂર્ણ કરાર કર્યો છે. જે યુરેનિયમને લઈને અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે, તે જ યુરેનિયમ માટે ભારતે ઓસ્ટ્રેલિયા સાથે સહયોગ વધાર્યો છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ સપ્લાયને લઈને એક મહત્વપૂર્ણ સમજૂતી થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનીઝે આ કરારની જાહેરાત કરી હતી. બંને નેતાઓએ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ સહયોગ વધુ મજબૂત બનાવવાની વાત કરી. આ કરાર ભારતની ઊર્જા સુરક્ષા અને પરમાણુ ઊર્જા કાર્યક્રમ માટે ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા પાસેથી યુરેનિયમ સપ્લાય વધવાથી ભારતની પરમાણુ ઊર્જા ક્ષમતા વધારવામાં મદદ મળશે. આ સહયોગથી દેશની ઊર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે નવા રસ્તા ખુલશે અને લાંબા ગાળે ઊર્જા સુરક્ષા વધુ મજબૂત બનશે.
આ (India Australia Deal) કરારનો સૌથી મોટો ફાયદો એ હશે કે ભારતના પરમાણુ વીજ મથકો માટે યુરેનિયમનો સ્થિર અને વિશ્વસનીય પુરવઠો મળી શકશે. ઓસ્ટ્રેલિયા દુનિયાના સૌથી મોટા યુરેનિયમ ભંડાર ધરાવતા દેશોમાં સામેલ છે. તેથી ભારતને લાંબા સમય સુધી પરમાણુ ઊર્જા માટે જરૂરી ઈંધણની ઉપલબ્ધતા જાળવી રાખવામાં મદદ મળશે. ઈરાન યુદ્ધ અને હોર્મુઝ સંકટ જેવી પરિસ્થિતિઓનો અનુભવ ભારત કરી ચૂક્યું છે. જો ભવિષ્યમાં તેલ અને ગેસની સપ્લાય પર અસર પડે, તો ભારત વૈકલ્પિક ઊર્જા સ્ત્રોતો પર ઝડપથી કામ કરી રહ્યું છે. યુરેનિયમ કરારને ભારતની લાંબા ગાળાની ઊર્જા સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
આ જ કડીમાં ભારત ઝડપથી વધી રહેલી વીજળીની માગને પૂરી કરવા માટે પરમાણુ ઊર્જાની ક્ષમતા વધારવાની યોજના પર કામ કરી રહ્યું છે. પરમાણુ ઊર્જામાં કોલસા અને ગેસની સરખામણીમાં કાર્બન ઉત્સર્જન ઓછું થાય છે. તેથી તેને સ્વચ્છ ઊર્જાના મહત્વપૂર્ણ સ્ત્રોત તરીકે માનવામાં આવે છે. પૂરતા પ્રમાણમાં યુરેનિયમ મળવાથી નવા પરમાણુ ઊર્જા પ્લાન્ટ શરૂ કરવા અને તેનો વિસ્તાર કરવો વધુ સરળ બનશે. આથી દેશમાં વીજળીનું ઉત્પાદન વધારવામાં મદદ મળશે અને વધતી જરૂરિયાતો પૂરી કરી શકાશે.
આ (India Australia Deal) કરારનો એક વધુ મહત્વપૂર્ણ પાસો છે, જેનાથી ભારતને લાંબા ગાળે મોટો ફાયદો થઈ શકે છે. ભારત હજુ પણ પોતાની ઊર્જાની જરૂરિયાતો માટે મોટા પ્રમાણમાં આયાતી તેલ અને ગેસ પર નિર્ભર છે. ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 70 ટકા કાચું તેલ અન્ય દેશોમાંથી આયાત કરે છે. આ તેલનો મોટો હિસ્સો સાઉદી અરેબિયા, ઈરાક, UAE, કુવૈત અને કતાર જેવા પશ્ચિમ એશિયાના દેશોમાંથી આવે છે. આ દેશોમાંથી આવતા મોટાભાગના તેલના ટેન્કરો હોર્મુઝ જળમાર્ગ પરથી પસાર થાય છે. પશ્ચિમ એશિયામાં તણાવ વધે અથવા હોર્મુઝ માર્ગમાં કોઈ અડચણ આવે તો ઊર્જા સપ્લાય પર અસર પડી શકે છે. આવી પરિસ્થિતિની અસર દુનિયા જોઈ ચૂકી છે. પરમાણુ ઊર્જાનો વિસ્તાર વધવાથી વીજળી ઉત્પાદન માટે કોલસા અને ગેસ જેવા ફોસિલ ફ્યુઅલ પરની નિર્ભરતા ધીમે-ધીમે ઘટશે. તેનાથી ભારતની ઊર્જા સુરક્ષા વધુ મજબૂત બનશે. ઓસ્ટ્રેલિયા સાથેનો આ સહયોગ ભારતને લાંબા ગાળે ઊર્જાના નવા વિકલ્પો મજબૂત કરવામાં મદદ કરશે.
જોકે, એ સમજવું પણ જરૂરી છે કે ઓસ્ટ્રેલિયા સાથેનો આ (India Australia Deal) કરાર થતાં જ ભારતનો પેટ્રોલ અને ડીઝલનો આયાત ખર્ચ તરત ઓછો નહીં થાય. પરમાણુ ઊર્જાનો ઉપયોગ મુખ્યત્વે વીજળી ઉત્પાદન માટે થાય છે, જ્યારે વાહન વ્યવહાર અને ઉદ્યોગો માટે પેટ્રોલિયમ ઈંધણની જરૂરિયાત હજુ પણ રહેશે. તેથી આ કરારને તાત્કાલિક સમસ્યાનો ઉકેલ નહીં પરંતુ ભારતની લાંબા ગાળાની ઊર્જા નીતિનો એક મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવી રહ્યો છે. ભારત પહેલેથી જ નેટ-ઝીરો ઉત્સર્જનના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યું છે. સ્વચ્છ ઊર્જાના સ્ત્રોતોને પ્રોત્સાહન આપીને ભારત ભવિષ્યમાં ઊર્જા સુરક્ષા મજબૂત કરવા અને પ્રદૂષણ ઘટાડવાની દિશામાં કામ કરી રહ્યું છે.