ચાર નવી વંદે ભારતને મંજૂરી, સર્વિસની સંખ્યા વધીને ૧૬૪ થશે

03 November, 2025 12:53 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

થોડા સમયમાં ટ્રાયલ-રન શરૂ કરવામાં આવ્યા બાદ સર્વિસ શરૂ થશે

ફાઇલ તસવીર

ભારતીય રેલવેએ વધુ ૪ નવી વંદે ભારત ટ્રેનોને મંજૂરી આપી છે, જે ઘણાં રાજ્યોમાં મુખ્ય રૂટ તરીકે ઉમેરાશે. આ પગલા સાથે વંદે ભારત સર્વિસની કુલ સંખ્યા વધીને ૧૬૪ થશે. એક વરિષ્ઠ રેલવે અધિકારીએ જણાવ્યું હતું કે ‘૪ નવી વંદે ભારત ટ્રેનોને મંજૂર કરવામાં આવી છે. થોડા સમયમાં ટ્રાયલ-રન શરૂ કરવામાં આવ્યા બાદ સર્વિસ શરૂ થશે.’

બૅન્ગલોર (ક્રાન્તિવીર સન્ગોલી રાયન્ના-KSR)થી અર્નાકુલમ

આ ટ્રેન કર્ણાટક અને કેરલા વચ્ચે કનેક્ટિવિટી મજબૂત બનાવશે. ટ્રેન-નંબર 26651 વંદે ભારત એક્સપ્રેસ સવારે ૫.૧૦ વાગ્યે બૅન્ગલોરથી ઊપડશે અને બપોરે ૧.૫૦ વાગ્યે એર્નાકુલમ પહોંચશે. પાછા ફરતી વખતે ટ્રેન-નંબર 26652 એર્નાકુલમથી બપોરે ૨.૨૦ વાગ્યે ઊપડશે અને રાત્રે ૧૧ વાગ્યે બૅન્ગલોર પહોંચશે. ટ્રેન કૃષ્ણરાજપુરમ, સેલેમ, ઇરોડ, તિરુપુર, કોઇમ્બતુર, પલક્કડ અને ત્રિશૂરમાં રોકાશે.

ફિરોઝપુર કેન્ટથી દિલ્હી

આ ટ્રેન-સર્વિસ પંજાબથી રાષ્ટ્રીય રાજધાની સુધી કનેક્ટિવિટી મજબૂત બનાવશે. ૪૮૬ કિલોમીટરનું અંતર ૬ કલાક અને ૪૦ મિનિટમાં કાપશે અને બુધવાર સિવાય વીકના છ દિવસ દોડશે.

વારાણસીથી ખજૂરાહો

આ ટ્રેન ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત બનાવશે. ૪૪૩ કિલોમીટરનું અંતર ૭ કલાક અને ૪૦ મિનિટમાં કાફશે અને વચ્ચે વિંધ્યાચલ, પ્રયાગરાજ, ચિત્રકૂટ ધામ, બંદા અને મહોબા ઊભી રહેશે.

લખનઉથી સહારનપુર

આ ટ્રેન ઉત્તર પ્રદેશની અંદર અને ઉત્તર-પશ્ચિમમાં કનેક્ટિવિટી મજબૂત બનાવશે. ૫૩૪ કિલોમીટરનું અંતર સાત કલાક અને ૪૫ મિનિટમાં કાપશે અને વચ્ચે સીતાપુર, શાહજહાંપુર, બરેલી, મુરાદાબાદ, નજીબાબાદ અને રૂરકી ઊભી રહેશે.

vande bharat indian railways bengaluru new delhi varanasi lucknow national news news