14 May, 2025 12:30 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ બુધવાર ૧૪ મે ૨૦૨૫ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે એક સમારોહ દરમિયાન ભારતના ૫૨ મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા (તસવીર સૌજન્યઃ પીટીઆઇ)
ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ (Justice Bhushan Ramkrishna Gavai)એ સુપ્રીમ કોર્ટ (Supreme Court)ના 52મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે અને રાષ્ટ્રપતિ ભવન (Rashtrapati Bhavan)માં આયોજિત એક સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (Draupadi Murmu)એ તેમને શપથ લેવડાવ્યા હતા. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર (Jagdeep Dhankhar), ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (Ram Nath Kovind), વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અને ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah) સહિત ઘણા કેન્દ્રીય મંત્રીઓ પણ હાજર રહ્યા હતા. શપથ ગ્રહણ કર્યા બાદ જસ્ટિસ બીઆર ગવઈએ માતાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા.
આજે ભારતના 52મા મુખ્ય ન્યાયાધીશ તરીકે ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ શપથ લીધા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ન્યાયાધીશ ગવઈને CJI તરીકે શપથ લેવડાવ્યા. વર્તમાન CJI સંજીવ ખન્ના (Sanjeev Khanna)નો કાર્યકાળ ૧૩ મેના રોજ સમાપ્ત થયો. ન્યાયાધીશ ગવઈનું નામ CJI ખન્ના પછી વરિષ્ઠતા યાદીમાં હતું. તેથી, ન્યાયાધીશ ખન્નાએ તેમનું નામ આગળ મૂક્યું. જોકે, તેમનો કાર્યકાળ ફક્ત છ મહિનાનો છે.
CJI બી આર ગવઈ દેશના બીજા દલિત અને પ્રથમ બૌદ્ધ મુખ્ય ન્યાયાધીશ છે.
સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પરની પ્રોફાઇલ મુજબ, ન્યાયાધીશ ગવઈને ૨૪ મે ૨૦૧૯ના રોજ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે બઢતી આપવામાં આવી હતી. તેમની નિવૃત્તિ તારીખ ૨૩ નવેમ્બર ૨૦૨૫ છે.
જસ્ટિસ ગવઈનો જન્મ ૨૪ નવેમ્બર ૧૯૬૦ના રોજ મહારાષ્ટ્રના અમરાવતીમાં થયો હતો. તેમણે ૧૯૮૫માં પોતાની કાનૂની કારકિર્દી શરૂ કરી હતી. તેમણે ૧૯૮૭માં બોમ્બે હાઈકોર્ટમાં સ્વતંત્ર પ્રેક્ટિસ શરૂ કરી હતી. આ પહેલા તેમણે ભૂતપૂર્વ એડવોકેટ જનરલ અને હાઈકોર્ટના ન્યાયાધીશ સ્વર્ગસ્થ રાજા એસ ભોસલે સાથે કામ કર્યું હતું. ૧૯૮૭થી ૧૯૯૦ સુધી બોમ્બે હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી હતી. ઓગસ્ટ ૧૯૯૨ થી જુલાઈ ૧૯૯૩ સુધી બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચમાં સહાયક સરકારી વકીલ અને વધારાના સરકારી વકીલ તરીકે નિયુક્ત થયા હતા. ૧૪ નવેમ્બર ૨૦૦૩ના રોજ બોમ્બે હાઈકોર્ટના વધારાના ન્યાયાધીશ તરીકે બઢતી મળી હતી. ૧૨ નવેમ્બર ૨૦૦૫ના રોજ બોમ્બે હાઈકોર્ટના કાયમી ન્યાયાધીશ બન્યા હતા.
જસ્ટિસ ગવઈ દેશના બીજા દલિત CJI બનશે. તેમના પહેલા જસ્ટિસ કેજી બાલકૃષ્ણન ભારતના મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા. જસ્ટિસ બાલકૃષ્ણન ૨૦૦૭માં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે, જસ્ટિસ ગવઈ ઘણા ઐતિહાસિક નિર્ણયોમાં સામેલ રહ્યા છે. જેમાં મોદી સરકારના ૨૦૧૬ના નોટબંધીના નિર્ણયને સમર્થન આપવું અને ચૂંટણી બોન્ડ યોજનાને ગેરબંધારણીય જાહેર કરવાનો સમાવેશ થાય છે.
જસ્ટિસ બીઆર ગવઈના મુખ્ય નિર્ણયો વિશે વાત કરીએ તો, તેમાં બુલડોઝર જસ્ટિસ વિરુદ્ધ ડિમોલિશન, કલમ ૩૭૦ નાબૂદ કરવા, નોટબંધીને સમર્થન આપવા, અનુસૂચિત જાતિ ક્વોટામાં પેટા-વર્ગીકરણને સમર્થન આપવા જેવા ઘણા મહત્વપૂર્ણ નિર્ણયોનો સમાવેશ થાય છે.