બાબા કેદારનાથની ડોલી ગૌરીકુંડ પહોંચી, મંદિરને ૫૧ ક્વિન્ટલ ફૂલોથી સજાવવામાં આવશે

21 April, 2026 02:04 PM IST  |  Rudraprayag | Gujarati Mid-day Correspondent

આવતી કાલે બાબા કેદારનાથનાં કપાટ અને ૨૩ એપ્રિલે બદરીનાથ ધામનાં કપાટ ખૂલશે

ગઈ કાલે ૨૦ કિલોમીટરની પદયાત્રા કરીને બાબા કેદારની ડોલી ગૌરીકુંડ પહોંચી હતી

ચારધામ યાત્રાનો ગઈ કાલે બીજો દિવસ હતો. ગંગોત્રી અને યમુનોત્રીનાં દ્વાર ખૂલી ચૂક્યાં છે અને બન્ને ધામોમાં અનુક્રમે ૫૧૩૩ અને ૪૧૨૫ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યાં હતાં. બાબા કેદારની પંચમુખી ડોલી રુદ્રપ્રયાગના ફાટાથી નીકળીને ૨૦ કિલોમીટરની પદયાત્રા કરીને ગઈ કાલે ગૌરીકુંડ પહોંચી ગઈ હતી. આજે ગૌરીકુંડથી કેદારનાથ ધામ જવા રવાના થશે. આ દરમ્યાન ૧૭ કિલોમીટરની પદયાત્રા કરીને રાત સુધીમાં પહોંચી જશે. આવતી કાલે સવારે ૮ વાગ્યે કેદારનાથ બાબાનાં કપાટ પણ શ્રદ્ધાળુઓ માટે ખૂલી જશે.

કેદારનાથનાં કપાટ ખૂલે એ પહેલાં એને ફૂલોથી સજાવી રહેલા ભક્તો

કેદારનાથ ધામને ૫૧ ક્વિન્ટલ ફૂલોની સજાવવામાં ભક્તો લાગ્યા છે. કપાટ ખૂલે એ પહેલાં જ સિક્યૉરિટીના ભાગરૂપે ઍન્ટિ-ટેરરિસ્ટ ક્વૉડની ટીમે આ ધામની સુરક્ષાની નિગરાની કરી હતી. 
કેદારનાથ ધામનાં દર્શન માટે સૌથી વધુ રજિસ્ટ્રેશન થયાં છે. કેદારનાથ માટે ૬.૭૦ લાખથી વધુ અને બદરીનાથ માટે ૫.૭૫ લાખથી વધુ રજિસ્ટ્રેશન થયાં છે. 

ઍન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વૉડની આ ટીમે બાબા કેદારનાથ ફરતે જડબેસલાક સિક્યૉરિટી પ્રબંધ કર્યો છે

૨૩ એપ્રિલે બદરીનાથ

બદરીનાથ ધામનાં કપાટ ૨૩ એપ્રિલે શ્રદ્ધાળુઓ માટે ખૂલશે. એ પહેલાં અહીં પણ મલ્ટિ-લેયર સુરક્ષા લાગુ કરવામાં આવી છે. તમામ પ્રવેશના રસ્તાઓ, મુખ્ય સ્થળો અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ તહેનાત થઈ ગઈ છે. 

char dham yatra kedarnath badrinath national news news