21 March, 2026 12:18 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
કેન્દ્ર સરકાર ગરીબીરેખા હેઠળ આવતા લોકોને મફતમાં રૅશન પૂરું પાડે છે, પણ એપ્રિલ મહિનામાં મોદી સરકારે ત્રણગણું અનાજ આપવાનો નિર્ણય લીધો છે. આ સંદર્ભમાં કરવામાં આવેલી જાહેરાત મુજબ આ કાર્ડના લાભાર્થીઓને એપ્રિલ મહિનામાં જ મે અને જૂન મહિનાનું પણ અનાજ આપવામાં આવશે. આમ એક જ મહિનામાં ૩ મહિનાનું અનાજ આપી દેવામાં આવશે. આ માટે સરકારે કોઈ કારણ જણાવ્યું નથી.
આ પહેલાં મંગળવારે સરકારે જણાવ્યું હતું કે ‘૨૦૨૫માં ૪૧.૪૧ લાખ બોગસ રૅશનકાર્ડ રદ કરી દેવામાં આવ્યાં હતાં. હરિયાણામાં સૌથી વધારે ૧૩.૪૩ લાખ કાર્ડ રદ થયાં હતાં. આ સિવાય રાજસ્થાનમાં ૬.૦૫ લાખ, ઉત્તર પ્રદેશમાં ૫.૯૭ લાખ, પશ્ચિમ બંગાળમાં ૩.૭૪ લાખ અને મધ્ય પ્રદેશમાં ૨.૬૦ લાખ કાર્ડ રદ કરવામાં આવ્યાં હતાં. આ પહેલાં ૨૦૨૪માં ૪૮.૮૫ લાખ અને ૨૦૨૩માં ૪૧.૯૯ લાખ રૅશનકાર્ડ રદ કરવામાં આવ્યાં હતાં.
સરકારે હવે ૯૯.૨ ટકા લાભાર્થીઓને આધાર કાર્ડ સાથે જોડી દીધા છે. આ સિવાય ૯૮.૭૫ ટકા અનાજ વિતરણ આધાર સાથે બાયોમેટ્રિક સહિત ડિજિટલ માધ્યમથી વિતરીત કરવામાં આવે છે.