NEET 2026: પેપર લીક વિવાદ પછી રી-એક્ઝામની તારીખો જાહેર, ૨૧ જૂને લેવાશે પરીક્ષા

15 May, 2026 01:03 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

NEET Re-exam Date announced: એનટીએ દ્રારા NEET-UG પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવશે, પેપર લીક વિવાદ બાદ હવે ૨૧ જૂને લેવાશે રી-એક્ઝામ; ૧૪ જૂન સુધીમાં એડમિટ કાર્ડ આવશે; કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ આ મુદ્દા પર એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની ફાઇલ તસવીર

નીટ યુજી (NEET-UG) પેપર લીક પ્રકરણના કારણે પરીક્ષા રદ કરવામાં આવી હતી. આ પરીક્ષામાં અંદાજે ૨૩ લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. નીટ યુજી પરીક્ષા રદ થયા બાદથી જ તેમાં સામેલ થયેલા લાખો વિદ્યાર્થીઓના મનમાં એક જ સવાલ હતો કે શું આ પરીક્ષા ફરીથી યોજવામાં આવશે. જો કે, હવે એનટીએ (National Testing Agency) દ્વારા નીટ યુજી પરીક્ષા સંબંધિત સત્તાવાર તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે. આવી પરિસ્થિતિમાં, જે વિદ્યાર્થીઓ નીટ યુજીની આ પુનઃપરીક્ષામાં બેસવાના છે, તે તમામ ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ હવે પરીક્ષાની તૈયારીઓ વધુ ઝડપી બનાવી દે. એનટીએ દ્વારા આ પરીક્ષા જૂન મહિનામાં આયોજિત કરવામાં આવશે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ પેપર લીકની ચાલી રહેલી તપાસ વચ્ચે મેડિકલ પ્રવેશ પરીક્ષા (UG) માટે ૨૧ જૂનની તારીખ નક્કી કરી છે. અગાઉ 3 મેના રોજ લેવાયેલી આ મેડિકલ પ્રવેશ પરીક્ષા તે સમયે રદ (NEET Re-exam Date announced) કરવામાં આવી હતી, જ્યારે પરીક્ષા પહેલા જ વોટ્સએપ (WhatsApp) અને ટેલિગ્રામ (Telegram) ગ્રૂપ પર ૪૦૦થી વધુ પ્રશ્નો ધરાવતું એક "ગેસ પેપર" મોટા પાયે વાયરલ થયું હતું. એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ લીક થયેલા પેપરમાંથી બાયોલોજી (જીવવિજ્ઞાન) અને કેમિસ્ટ્રી (રસાયણવિજ્ઞાન)ના ૧૦૦થી વધુ પ્રશ્નો બેઠા નીટ (NEET)ની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો જેવા જ હતા.

NTA એ શું કહ્યું?

એનટીએ (NTA) દ્વારા પરીક્ષાની તારીખ જાહેર કરવાની સાથે જણાવવામાં આવ્યું કે, કેન્દ્ર સરકારની મંજૂરી મળ્યા બાદ નીટ-યુજી-2026 (NEET-UG-2026) ની પુનઃપરીક્ષા રવિવાર, 21 જૂન 2026 ના રોજ આયોજિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સાથે જ એજન્સીએ પરીક્ષાર્થીઓ અને વાલીઓને વિનંતી કરી છે કે તેઓ આ બાબતે અફવાઓથી દૂર રહે અને માત્ર એનટીએના સત્તાવાર માધ્યમો દ્વારા આપવામાં આવતી માહિતી પર જ ભરોસો રાખે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ બેઠકની અધ્યક્ષતા કરી

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન (Dharmendra Pradhan)એ ગુરુવારે નીટ-યુજી પરીક્ષા ફરીથી આયોજિત કરવાના મુદ્દે પ્રથમ ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ મહત્વપૂર્ણ બેઠકમાં શિક્ષણ મંત્રાલય અને પરીક્ષા લેતી એજન્સીના અનેક ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકનો મુખ્ય હેતુ રદ થયેલી પરીક્ષાને હવે નવેસરથી કેવી રીતે યોજવી તે નક્કી કરવાનો હતો, જેથી ભવિષ્યમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવી શકાય. સરકાર એ સુનિશ્ચિત કરવા માંગે છે કે આ વખતે પુનઃપરીક્ષા સંપૂર્ણપણે પારદર્શક અને સુરક્ષિત રીતે લેવાય, જેથી દિવસ-રાત મહેનત કરતા વિદ્યાર્થીઓ સાથે કોઈ અન્યાય ન થાય.

પેપર લીક મામલે સાતની ધરપકડ

પરીક્ષામાં થયેલી કથિત ગેરરીતિઓની તપાસ માટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને કામગીરી સોંપવામાં આવી હતી, જે અંતર્ગત બિહાર, ઝારખંડ, રાજસ્થાન અને ગુજરાતના કેટલાક ખાનગી કેન્દ્રો શંકાના દાયરામાં આવ્યા હતા અને ત્યાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન સીબીઆઈએ ગુરુવારે વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે, જેની સાથે આ કેસમાં કુલ ધરપકડ કરાયેલા આરોપીઓની સંખ્યા વધીને સાત થઈ ગઈ છે.

neet exam Education india national news news