લોકસભાના સ્પીકરને હટાવવામાં સફળતા ન મળી એટલે હવે ચીફ ઇલેક્શન કમિશનરને હટાવવા માટે વિપક્ષ એકજૂટ થયો

13 March, 2026 10:04 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સૂત્રોના જણાવ્યા અનુસાર લોકસભાના ૧૩૦ સંસદસભ્યોએ અને રાજ્યસભાના ૬૩ સંસદસભ્યોએ આ પ્રસ્તાવ પર સહી કરી છે

જ્ઞાનેશકુમાર

લોકસભાના સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસના પ્રસ્તાવમાં નિષ્ફળતા મેળવ્યા પછી હવે વિપક્ષ મુખ્ય ચૂંટણી-કમિશનર જ્ઞાનેશકુમારને પદ પરથી હટાવવાનો પ્રસ્તાવ લાવ્યો છે અને એ માટે અનેક સંસદસભ્યોએ નોટિસ પર હસ્તાક્ષર કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર લોકસભાના ૧૩૦ સંસદસભ્યોએ અને રાજ્યસભાના ૬૩ સંસદસભ્યોએ આ પ્રસ્તાવ પર સહી કરી છે. શુક્રવારે સંસદમાં આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવે એવી સંભાવના છે. જોકે હજી સ્પષ્ટતા નથી કે પાર્લમેન્ટના કયા હાઉસમાં એને રજૂ કરવામાં આવશે. વિપક્ષના એક નેતાએ કહ્યું હતું કે સંસદસભ્યોએ ચૂંટણી-કમિશનરને હટાવવાના પ્રસ્તાવ માટે ખૂબ ઉત્સાહ બતાવ્યો હતો.

૭ આરોપો કહેવાય છે કે નોટિસમાં

ચૂંટણી-કમિશનરની વિરુદ્ધ ૭ આરોપો લગાવવામાં આવ્યા છે. એમાં પદ પર રહીને પક્ષપાતપૂર્ણ અને ભેદભાવવાળું આચરણ છે. ચૂંટણીના ફ્રૉડ કેસોની તપાસમાં જાણી-કરીને અવરોધો નાખવાનો આરોપ છે. મોટા પાયે મતદાતાઓને મતાધિકારથી વંચિત કરવાનો આરોપ પણ તેમના wwપર લગાવવામાં આવ્યો છે. વિપક્ષી દળોએ અનેક વાર ચૂંટણી-કમિશનર પર સત્તાધારી પાર્ટીની મદદ કરવાનો આરોપ પણ લગાવ્યો છે. ખાસ કરીને સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝનની પ્રક્રિયા કેન્દ્રમાં સત્તા ધરાવતી પાર્ટીને લાભ આપવાના ઉદ્દેશથી થઈ રહી છે.

Lok Sabha om birla election commission of india national news news indian government