`સેનાનું મનોબળ ન તોડો અને જવાબદાર વકીલ બનો` સુપ્રીમ કોર્ટે કોને આપ્યો ઠપકો?

02 May, 2025 07:00 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

Pahalgam Terror Attack: સુપ્રીમ કોર્ટે ગુરુવારે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલાની તપાસની માગ કરતી અરજી (PIL) ફગાવી દીધી. આ હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ અરજી સુપ્રીમ કોર્ટના રિટાયર જજ દ્વારા કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટ (ફાઇલ તસવીર)

સુપ્રીમ કોર્ટે ગુરુવારે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલાની તપાસની માગ કરતી અરજી (PIL) ફગાવી દીધી. આ હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ અરજી સુપ્રીમ કોર્ટના રિટાયર જજ દ્વારા કરવામાં આવી હતી.

ન્યાયાધીશ સૂર્યકાંત અને એન.કે સિંહની બેન્ચે અરજદાર ફતેશ સાહુને ઠપકો આપ્યો અને કહ્યું કે આવી અરજીઓ સુરક્ષા દળોનું મનોબળ ઘટાડી શકે છે. બેન્ચે કહ્યું, "આ ખૂબ જ નાજુક સમય છે જ્યારે દેશના દરેક નાગરિક આતંકવાદ સામે લડવા માટે એક થયા છે. કૃપા કરીને એવું કંઈ ન કહો જે સુરક્ષા દળોનું મનોબળ ડગમગાવે. મુદ્દાની સંવેદનશીલતાને સમજો."

જવાબદાર વકીલ બનો - સુપ્રીમ કોર્ટ
અરજદાર સાહુ, જે વ્યવસાયે વકીલ છે, પોતે કોર્ટમાં હાજર થયા અને કહ્યું કે તેમનો ઉદ્દેશ્ય સુરક્ષા દળોને નિરાશ કરવાનો નથી અને તેઓ તેમની અરજી પાછી ખેંચવા તૈયાર છે. બેન્ચે તેમને ઠપકો આપતા કહ્યું, "આવી અરજી દાખલ કરતા પહેલા તમારે જવાબદારી થી વિચારવું જોઈએ. તમારે દેશ પ્રત્યે જવાબદાર રહેવું જોઈએ. તમે આ રીતે આપણા દળોનું મનોબળ કેવી રીતે ઘટાડી શકો છો?" કોર્ટે એમ પણ કહ્યું કે ફતેશ સાહુ ઉપરાંત, અહમદ તારિક બટ્ટ દ્વારા પણ અરજી દાખલ કરવામાં આવી હતી પરંતુ તેના પર કોઈ પક્ષ હાજર થયો ન હતો, તેથી તે અરજી પર સુનાવણી કરવામાં આવી ન હતી.

કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે ન્યાયાધીશોનું કામ વિવાદોનું સમાધાન કરવાનું છે, તપાસ કરવાનું નહીં. બેન્ચે કડક ટિપ્પણી કરતાં કહ્યું કે "કૃપા કરીને જવાબદાર વકીલ બનો. તમે આ રીતે સુરક્ષા દળોનું મનોબળ ઘટાડી રહ્યા છો. નિવૃત્ત ન્યાયાધીશો ક્યારથી તપાસ નિષ્ણાત બની ગયા છે? આપણે ફક્ત વિવાદનો નિકાલ કરીએ છીએ."

અરજી પાછી ખેંચી
સાહુએ દલીલ કરી હતી કે તેઓ જમ્મુ અને કાશ્મીરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સલામતી અંગે ચિંતિત છે કારણ કે આ હુમલામાં દેશના અન્ય ભાગોના પ્રવાસીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ અંગે કોર્ટે અરજીની દલીલો વાંચતા કહ્યું કે તેમાં વિદ્યાર્થીઓની સલામતીનો કોઈ ઉલ્લેખ નથી. અરજીમાં ફક્ત સુરક્ષા દળો અને પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા માટે માર્ગદર્શિકા માગવામાં આવી હતી. "જમ્મુ અને કાશ્મીરની બહાર અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે કેટલીક સુરક્ષા વ્યવસ્થા તો હોવી જોઈએ," વકીલે કહ્યું. પરંતુ બેન્ચ આ દલીલથી સંતુષ્ટ ન થઈ અને કહ્યું, "શું તમને ખબર છે કે તમે શું માગી રહ્યા છો? પહેલા તમે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ પાસેથી તપાસની માગ કરો છો, પછી માર્ગદર્શિકા, પછી વળતર, પછી પ્રેસ કાઉન્સિલને નિર્દેશોની માગ કરો છો. " આખરે, અરજદારે અરજી પાછી ખેંચવાનો નિર્ણય લીધો, જેને કોર્ટે મંજૂરી આપી. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે જો અરજદારો ઈચ્છે તો તેઓ કાશ્મીરી વિદ્યાર્થીઓ સંબંધિત મુદ્દાઓ માટે હાઈકોર્ટનો સંપર્ક કરી શકે છે.

કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે આવી અરજીઓ હાઇકોર્ટમાં પણ ન જવી જોઈએ. આખરે, સુપ્રીમ કોર્ટે સાહુને અરજી પાછી ખેંચવાની મંજૂરી આપી, અને તેમને ફક્ત વિદ્યાર્થીઓની સલામતીના મુદ્દા પર સંબંધિત હાઇકોર્ટમાં જવાની મંજૂરી આપી. નોંધનીય છે કે સંવેદનશીલ પહાડી રાજ્યોમાં સુરક્ષા પગલાં અંગેની બીજી એક પીઆઈએલ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.

આ હુમલાને તાજેતરના વર્ષોમાં જમ્મુ અને કાશ્મીરમાં થયેલો સૌથી ઘાતક હુમલો ગણાવવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટ, સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન અને વિવિધ હાઇકોર્ટ બાર એસોસિએશનો દ્વારા આ હુમલાની નિંદા કરવામાં આવી હતી. આ ઘટનાના એક દિવસ પછી, સુપ્રીમ કોર્ટમાં ફુલ કોર્ટે (બધા ન્યાયાધીશોની બેઠક) આતંકવાદી હુમલાની નિંદા કરતા બે મિનિટનું મૌન પાળ્યું હતું.

આ એક અમાનવીય કૃત્ય છે - સુપ્રીમ કોર્ટ
"આ અમાનવીય અને ભયંકર કૃત્ય સમગ્ર રાષ્ટ્રના અંતરાત્માને હચમચાવી નાખે છે અને આતંકવાદ દ્વારા થતી ક્રૂરતા અને બર્બરતાનું સ્પષ્ટ ઉદાહરણ છે," ફુલ કોર્ટે કહ્યું. પ્રવાસીઓ પરના "કાયર હુમલા" ની સખત નિંદા કરતા, ફુલ કોર્ટે કહ્યું, "કાશ્મીરની સુંદરતાનો આનંદ માણી રહેલા નિર્દોષ પ્રવાસીઓ પર હુમલો માનવતાની પવિત્રતા પર સીધો હુમલો છે." કોર્ટે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને શ્રદ્ધાંજલિ આપી અને કહ્યું, "આ મુશ્કેલ સમયમાં આખું રાષ્ટ્ર પીડિતો અને તેમના પરિવારો સાથે ઉભું છે."

આ કેસ 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામની બૈસરન ખીણમાં થયેલા આતંકવાદી હુમલા સાથે સંબંધિત છે. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા અને 15 ઘાયલ થયા. આ વિસ્તાર એક લોકપ્રિય પર્યટન સ્થળ છે, જેને "મીની સ્વિટ્ઝર્લૅન્ડ" તરીકે પણ ઓળખવામાં આવે છે, અને અહીં ફક્ત પગપાળા અથવા ઘોડા દ્વારા જ પહોંચી શકાય છે. પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબાના પ્રોક્સી જૂથ, ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)એ આ હુમલાની જવાબદારી લીધી હતી.

supreme court Pahalgam Terror Attack jammu and kashmir kashmir terror attack lashkar-e-taiba national news news