13 September, 2025 03:45 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
સુશીલા કાર્કી (તસવીર સૌજન્ય પીટીઆઈ)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળના વચગાળાની સરકારના વડા પ્રધાન બનેલાં સુશીલા કાર્કીને વધામણી આપી છે. તેમણે નેપાળના લોકોની શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે ભારતની પ્રતિબદ્ધતા પુનરાવર્તિત કરી. સુશીલા કાર્કીનો ભારત સાથે ઊંડો-ગાઢ નાતો છે, જ્યાં તેમણે વારાણસીમાં શિક્ષણ મેળવ્યું અને પોતાના જીવનસાથીને પણ મળ્યા.
નેપાળના વચગળાની સરકારના પ્રધાન મંત્રી તરીકે પદભાર સંભાળનારા સુશીલા કાર્કીને ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છાઓ આપી છે. સાથે જ તેમણે કહ્યું કે, નેપાળના ભાઈ-બહેનોની શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે ભારત સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટ પર લખ્યું, "નેપાળની વચગાળાની સરકારના વડા પ્રધાન તરીકે કાર્યભાર સંભાળવા બદલ માનનીય સુશીલા કાર્કીજીને હાર્દિક અભિનંદન. ભારત નેપાળના ભાઈઓ અને બહેનોની શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવામાં આવશે...
અગાઉ, વિદેશ મંત્રાલય (MEA) એ પરિવર્તનના યુગમાં કાઠમંડુ સાથે સંબંધો મજબૂત કરવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. વિદેશ મંત્રાલયે કહ્યું, "અમે માનનીય શ્રીમતી સુશીલા કાર્કીના નેતૃત્વ હેઠળ નેપાળમાં નવી વચગાળાની સરકારની રચનાનું સ્વાગત કરીએ છીએ. અમને આશા છે કે આ શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપશે."
મંત્રાલયે વધુમાં કહ્યું, "એક નજીકના પાડોશી, લોકશાહી દેશ અને લાંબા ગાળાના વિકાસ ભાગીદાર તરીકે, ભારત બંને દેશોના લોકોના કલ્યાણ અને સમૃદ્ધિ માટે નેપાળ સાથે નજીકથી કામ કરવાનું ચાલુ રાખશે."
સુશીલા કાર્કીનું ભારત સાથે જોડાણ
શુક્રવારે રાત્રે, યુવાનોના પ્રિય સુશીલા કાર્કીએ દેશના વચગાળાના વડા પ્રધાન તરીકે શપથ લીધા. સુશીલા કાર્કીનું નેપાળના વડા પ્રધાન પદ પર આવવું એ રાજકારણમાં એક ઐતિહાસિક પગલું માનવામાં આવે છે. સુશીલા કાર્કીનો પણ ભારત સાથે ખૂબ જ ખાસ સંબંધ છે. તેથી, વિશ્લેષકો માને છે કે તેમના કાર્યકાળ દરમિયાન ભારત-નેપાળ સંબંધો તેમના ઉચ્ચતમ સ્તરે રહેશે. સુશીલા કાર્કીએ વારાણસીથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો, આ સાથે તેમને બનારસમાં તેમના જીવનસાથી પણ મળ્યા.
સત્તા પરિવર્તન જેન-ઝી ચળવળ પછી થયું
નેપાળમાં આ સત્તા પરિવર્તન `જેન-ઝી` ચળવળ પછી થયું છે, જેણે કેપી શર્મા ઓલીની સરકારને ઉથલાવી દીધી હતી. નેપાળના યુવાનોએ 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ સામે વિરોધ શરૂ કર્યો હતો, પરંતુ આ વિરોધ હિંસક પ્રદર્શનમાં ફેરવાઈ ગયો. કેપી શર્મા ઓલીની સરકારના ઘણા મંત્રીઓના ઘર સળગાવી દેવામાં આવ્યા હતા. આ આંદોલનના દબાણ હેઠળ પણ, કેપી શર્મા ઓલીને વડા પ્રધાન પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.