18 July, 2026 09:32 AM IST | Jind | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે જીંદ સ્ટેશન પર હાઇડ્રોજન ટ્રેનને લીલીઝંડી દેખાડતા નરેન્દ્ર મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે હરિયાણાના જીંદ રેલવે-સ્ટેશન પર ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપી હતી. આ ટ્રેન હરિયાણામાં જીંદથી સોનીપત વચ્ચે દોડશે. આ નવી શરૂઆત સાથે ભારત હાઇડ્રોજનથી ચાલતી ટ્રેન શરૂ કરનારો વિશ્વનો પાંચમો દેશ બન્યો છે. આ અગાઉ જર્મની, ફ્રાન્સ, સ્વીડન અને ચીનમાં હાઇડ્રોજન ટ્રેનો સર્વિસમાં છે. આ ટેક્નૉલૉજી હાઇડ્રોજન અને ઑક્સિજનને જોડીને વીજળી ઉત્પન્ન કરે છે જેનાથી ફક્ત પાણીની વરાળ ઉત્પન્ન થાય છે અને ધુમાડો કે પ્રદૂષણ થતું નથી.
આ ટ્રેન માટે સૌથી મોટી વાત એ છે કે આ ટ્રેન વિશ્વની સૌથી શક્તિશાળી હાઇડ્રોજન ટ્રેન છે. આ ટ્રેનની ડિઝાઇન ભારતીય એન્જિનિયરોએ બનાવી છે અને એનું ઉત્પાદન પણ ભારતમાં જ થયું છે.
૧૦ ડબ્બા ધરાવતી આ હાઇડ્રોજન ટ્રેન જીંદ અને સોનીપત રૂટ પર ૧૪ સ્ટેશનો પર થોભશે. આ ટ્રેન એક સમયે ૨૬૦૦થી વધુ મુસાફરોને લઈ જઈ શકે છે. આ ટ્રેનની મહત્તમ ગતિ ૧૧૦ કિલોમીટર પ્રતિ કલાક છે, પરંતુ પાઇલટ પ્રોજેક્ટના ભાગરૂપે એ હાલમાં ૭૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. પહેલા દિવસે ટ્રેન જીંદથી સવારે ૧૧.૨૨ વાગ્યે રવાના થઈ હતી અને બરાબર બે કલાક પછી બપોરે ૧.૨૨ વાગ્યે સોનીપત પહોંચી હતી. આ ટ્રેનનું ભાડું પાંચથી પચીસ રૂપિયા સુધીનું છે.
આ ટ્રેન ૮૯ કિલોમીટરની મુસાફરી લગભગ બે કલાકમાં પૂરી કરશે. આ ટ્રેન દરરોજ બે ટ્રિપ કરશે, જે ૩૫૬ કિલોમીટરનું અંતર કાપશે અને અંદાજે ૩૦૦ કિલો હાઇડ્રોજનનો વપરાશ કરશે. આમ ટ્રેન પ્રતિ કિલો હાઇડ્રોજનના દરે આશરે ૧.૨ કિલોમીટર મુસાફરી કરશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબના જાલંધરથી ભારતભરનાં ૭૫ પુનર્વિકસિત રેલવે-સ્ટેશનોનું ઉદ્ઘાટન કર્યું હતું. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આ રેલવે-સ્ટેશનો રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યાં હતાં.