પંજાબના ચીફ મિનિસ્ટર ભગવંત માન વિધાનસભામાં દારૂ પીને આવ્યા?

02 May, 2026 10:49 AM IST  |  Chandigarh | Gujarati Mid-day Correspondent

કૉન્ગ્રેસના આવા આક્ષેપને પગલે ધમાલ મચી ગઈ, ટેસ્ટ કરાવવાની માગણી કરી પણ સ્પીકરે એ નકારી કાઢી

પોતે દારૂ પીને આવ્યા છે એવા આક્ષેપ પછી ગઈ કાલે વિધાનસભામાં અકળાયેલા જણાતા મુખ્ય પ્રધાન ભગવંત માન. ભગવંત માનની આલ્કોહોલ ટેસ્ટ કરાવવાની માગણી સાથે કૉન્ગ્રેસના નેતાઓએ વૉકઆઉટ કર્યો હતો.

પંજાબ વિધાનસભાનું એક દિવસનું સત્ર નાટકથી ભરેલું રહ્યું હતું. સત્ર શરૂ થયાના થોડા સમય પછી વિપક્ષ કૉન્ગ્રેસ પાર્ટીએ વૉકઆઉટ કર્યું હતું. કૉન્ગ્રેસે મુખ્ય પ્રધાન ભગવંત માન પર ગંભીર આરોપો લગાવતાં તેમને શરાબી ગણાવ્યા હતા અને દાવો કર્યો કે તેઓ દારૂ પીને વિધાનસભામાં પ્રવેશ્યા હતા. વધુમાં કૉન્ગ્રેસના વિધાનસભ્યોએ ‘શરાબી મુખ્ય પ્રધાન મુર્દાબાદ’ના નારા લગાવ્યા હતા. આના કારણે ગૃહમાં કૉન્ગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)ના વિધાનસભ્યો વચ્ચે ઉગ્ર ચડસાચડસી થઈ હતી. પંજાબના વિપક્ષના નેતા અને કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા પ્રતાપ સિંહ બાજવા દ્વારા લગાવવામાં આવેલા આરોપો બાદ કૉન્ગ્રેસના વિધાનસભ્યોએ વિરોધ-પ્રદર્શન કર્યું હતું અને ગૃહમાંથી વૉકઆઉટ કર્યું હતું.

કૉન્ગ્રેસે આલ્કોહોલ ટેસ્ટની માગણી કરી

વિપક્ષના નેતા પ્રતાપ સિંહ બાજવાએ કહ્યું હતું કે કૉન્ગ્રેસના વિધાનસભ્ય સુખપાલ સિંહ ખૈરાએ મુખ્ય પ્રધાન પર ગંભીર આરોપ લગાવ્યો છે કે તેઓ દારૂ પીને ગૃહમાં આવ્યા હતા, તેથી કોણે દારૂ પીધો છે અને કોણે નથી એ નક્કી કરવા માટે બધા વિધાનસભ્યોની આલ્કોહોલ ટેસ્ટ કરાવવામાં આવે. વિધાનસભાના સ્પીકરે જોકે ટેસ્ટ કરાવવાની માગણી ફગાવી દીધી હતી.

અકાલી દળે પણ AAP પર હુમલો કર્યો

અકાલી દળે પણ ભગવંત માનની આકરી ટીકા કરી હતી અને તેમની કથિત ગેરવર્તણૂકને ગૃહની ગરિમા વિરુદ્ધ ગણાવી હતી. પાર્ટીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે ‘મુખ્ય પ્રધાન આ સ્થિતિમાં પવિત્ર વિધાનસભામાં પહોંચ્યા એ શરમજનક છે. તેમણે આ દિવસે દારૂ પીને ગૃહમાં નહોતું આવવું જોઈતું. મુખ્ય પ્રધાનની સમગ્ર પંજાબની સામે ડોપ ટેસ્ટ કરાવવામાં આવે જેથી સત્ય જનતા સમક્ષ જાહેર થઈ શકે.’

bhagwant mann punjab chandigarh aam aadmi party congress national news news