25 May, 2026 08:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાહુલ ગાંધી
BJPના નેતાઓએ આ નિવેદનને દેશમાં અરાજકતા ફેલાવવાનું કાવતરું ગણાવ્યું. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કૉન્ગ્રેસ પાર્ટીની આંતરિક બેઠકમાં કહ્યું હતું કે ‘મોદી સરકાર આગામી એક વર્ષની અંદર પડી ભાંગશે.’ જોકે આ નિવેદનને કારણે રાજકીય ગરમાટો આવી ગયો છે. BJPના નેતાઓએ રાહુલ ગાંધીને વળતો જવાબ આપ્યો હતો. કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘રાહુલ ગાંધીનું આ નિવેદન ભારતને અસ્થિર કરવાનું સપનું જોઈ રહેલા ટૂલકિટ ગૅન્ગવાળા તમામ વિરોધ પક્ષો દ્વારા રચાઈ રહેલા કાવતરાનો નિર્દેશ કરે છે. આ કોઈ સામાન્ય નિવેદન નથી, દેશમાં અરાજકતા ફેલાવવાનું ગંભીર ષડયંત્ર છે.’
BJPના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘રાહુલ ગાંધીએ એક વાર ફરીથી દુઃસાહસ કર્યું છે. તેઓ લોકોને ભડકાવીને અરાજકતા ફેલાવીને સરકારને હટાવવાની કોશિશ કરી રહ્યા છે. રાહુલ ગાંધીની આ ટિપ્પણી ભારતમાં લોકતંત્રને ખતમ કરવા અને વિદેશી એજન્ડા તરફ ઇશારો કરે છે.’