26 July, 2026 07:36 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
રાહુલ ગાંધી
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ આક્રમક વલણ અપનાવીને આકરા પ્રહારો કર્યા હતા. દેશભરમાં રસ્તા પર ઊતરેલા વિદ્યાર્થીઓના આંદોલનને બિરદાવીને તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આ સરકારને હટાવવાનો સમય હવે આવી ગયો છે.
શનિવારે દિલ્હીમાં આંદોલનકારી વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કર્યા બાદ રાહુલ ગાંધીએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે ‘ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આપણી શિક્ષણવ્યવસ્થાને નવું રૂપ આપવા તરફનું મોટું પગલું છે. લોકશાહી, બંધારણ અને પોતાના ભવિષ્યની રક્ષા માટે અડીખમ ઊભા રહેનારા તમામ યુવાનો પર દેશને ગર્વ છે.’
કૉન્ગ્રેસના નેતાએ ઉમેર્યું હતું કે હવે બે મુખ્ય માગણીઓ બાકી રહે છે : એક, વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશના યુવાનો અને ભવિષ્યનું સન્માન કરીને માફી માગે અને બે, વિદ્યાર્થીઓ પર આચરાયેલી હિંસા અને બળપ્રયોગ માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી થાય.