18 July, 2026 09:44 AM IST | Karnataka | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
કર્ણાટકના કોપ્પલમાં અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આશરે ૨૧.૧૪ કરોડ રૂપિયાના ખર્ચે નવા બનાવવામાં આવેલા કોપ્પલ રેલવે-સ્ટેશનના પરિસરમાં વરસાદી પાણી લીક થઈ રહ્યું હોય એવો એક વિડિયો વાઇરલ થયો છે. નવાઈની વાત એ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ સ્ટેશનનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરે એના થોડા કલાકો પહેલાં જ આ ઘટના સામે આવી હતી. આ ઘટનાથી વિવાદ સર્જાયો હતો, કારણ કે લોકોએ સ્ટેશન પર કરવામાં આવેલા બાંધકામના કાર્યની ગુણવત્તા પર સવાલ ઉઠાવ્યા હતા.
કોપ્પલ રેલવે-સ્ટેશનમાં આધુનિક સુવિધાઓ હેઠળ ૧૫૦૮ ચોરસ મીટરનું નવું એક માળનું બિલ્ડિંગ બાંધવામાં આવ્યું છે, એક પહોળો ફુટઓવર બ્રિજ (FOB) અને લિફ્ટ લગાવવામાં આવ્યાં છે. આ સ્ટેશન યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ હમ્પીની નજીક છે તેથી એનો આંતરિક ભાગ સ્થાનિક સંસ્કૃતિ અને વિજયનગર સામ્રાજ્યને પ્રતિબિંબિત કરે છે. ઉદ્ઘાટનના થોડા કલાકો પહેલાં વરસાદી પાણીનું લીકેજ થવાથી લોકો ભારે ટીકા કરી રહ્યા છે.