26 June, 2026 02:43 PM IST | Ayodhya | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ (Shri Ram Janmabhoomi Trust)ના જનરલ સેક્રેટરી ચંપત રાય (General Secretary Champat Rai) અને સભ્ય ટ્રસ્ટી અનિલ મિશ્રા (Member Trustee Anil Mishra)એ કથિત રામ મંદિર દાન ચોરીના મામલા (Ram Mandir Fund Theft Row)માં નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી દીધું છે, તેમ શુક્રવારે સૂત્રોએ જણાવ્યું હતું. અયોધ્યામાં રામ મંદિરમાં મળેલા દાનની કથિત ઉચાપત અંગે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ (FIR) નોંધાયા બાદ આ મહત્વની ગતિવિધિ સામે આવી છે.
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) સરકારના નિર્દેશ પર ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૩૦૬, ૩૧૬(૫), ૩૧૭(૪), ૩૧૭(૫), ૬૧ અને ૩(૫) સહિતની વિવિધ જોગવાઈઓ હેઠળ આ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ એફઆઈઆરમાં જે લોકોના નામ સામેલ છે તેમાં અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રા, અવિનાશ શુક્લા, ટિન્નુ યાદવ, મનિષ યાદવ અને અન્ય લોકોનો સમાવેશ થાય છે.
અયોધ્યાના સમાજવાદી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય પવન પાંડેના આરોપો બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમણે દાવો કર્યો હતો કે રામ મંદિરના દાનમાંથી રુપિયા ૭ કરોડથી રુપિયા ૭.૫ કરોડની ઉચાપત કરવામાં આવી છે. આ દાવાઓના જવાબમાં, રાજ્ય સરકારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની વિનંતી પર કાર્ય કરીને આ કથિત કૌભાંડની તપાસ માટે ૧૪ જૂનના રોજ ત્રણ સભ્યોની વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરી હતી.
વિપક્ષ પર સીએમ યોગી આદિત્યનાથના પ્રહારો
આ પૂર્વે દિવસ દરમિયાન, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) રામ મંદિરમાં કથિત ઉચાપતના કેસ અંગે વિપક્ષના વલણ પર આકરા પ્રહારો કર્યા હતા. વિપક્ષને આડે હાથ લેતા મુખ્યમંત્રીએ કહ્યું કે જેમણે મંદિર નિર્માણનો વિરોધ કર્યો હતો તેઓ હવે રાજકીય ફાયદા માટે આ મુદ્દો ઉઠાવી રહ્યા છે.
સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ના પ્રાથમિક અહેવાલના આધારે પ્રથમ એફઆઈઆર નોંધાયા બાદ દેવરિયામાં એક જનસભાને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે જનતાની આસ્થાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરનાર કોઈપણ વ્યક્તિ સામે રાજ્ય સરકાર ‘ઝીરો ટોલરન્સ’ (બિલકુલ ચલાવી ન લેવાની) નીતિ અપનાવશે. મુખ્યમંત્રી અહીં રુપિયા ૪૫૬ કરોડથી વધુની કિંમતના ૧૦૬ વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન અને શિલાન્યાસના કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા.
ભગવાન રામ અને અયોધ્યા સંબંધિત બાબતો પર સવાલ ઉઠાવનારાઓ વિશે બોલતા આદિત્યનાથે આક્ષેપ કર્યો હતો કે વાંધો ઉઠાવનારાઓએ અગાઉ ભગવાન રામના અસ્તિત્વ અને અયોધ્યાના મહત્વનો ઇનકાર કર્યો હતો.
‘એક પક્ષ એવું કહેતો હતો કે ભગવાન રામનું કોઈ અસ્તિત્વ જ નથી, એટલે કે આ લોકો અયોધ્યાનો જ ઇનકાર કરવા માંગતા હતા. તેઓ કોર્ટમાં સતત કેસ લડતા રહ્યા, રામ જન્મભૂમિ મંદિરના નિર્માણ સામે વકીલોની ફોજ ઉભી રાખતા રહ્યા અને બીજી તરફ એવા લોકો છે જે `જય શ્રી રામ` ના નારા લગાવનારાઓ પર લાઠીઓ વરસાવતા અને ગોળીઓ ચલાવતા હતા. જેઓ ભગવાન રામનું નામ લેવા માત્રથી ગોળીઓ ચલાવતા હતા તેઓ આજે કહી રહ્યા છે કે આસ્થા સાથે છેડછાડ થઈ રહી છે... તેઓ રામનવમી પર રમખાણો ભડકાવતા, શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી પર પ્રતિબંધ મુકતા, કાવડ યાત્રા રોકતા, દુર્ગા પૂજા દરમિયાન રમખાણો કરાવતા... યાદ રાખો, કોંગ્રેસે માત્ર દેશને લૂંટ્યો જ નથી, પરંતુ તેના ટુકડા પણ કર્યા છે. અપ્રમાણિકતા અને ભ્રષ્ટાચારના જે રેકોર્ડ તેમણે સ્થાપિત કર્યા છે, અને તે જ લોકો હવે અયોધ્યા પર આંગળી ચીંધી રહ્યા છે? આ અસ્વીકાર્ય છે,’ તેમ યોગી આદિત્યનાથે કહ્યું હતું.
આસ્થા સાથે છેડછાડ બંધ કરો: મુખ્યમંત્રી
‘સરકારનો ઈરાદો સ્પષ્ટ છે..., બધું જ દરેકની સામે આવી જશે. પરંતુ હું ફરી એકવાર અપીલ કરીશ: રામ ભક્તોની પરીક્ષા ન લો, તેમની આસ્થા સાથે છેડછાડ કરવાનું બંધ કરો. જો કોઈ તથ્યો કે પુરાવા ન હોય તો આરોપ-પ્રત્યારોપ બંધ કરો, અને જો પુરાવા હોય તો તેને એસઆઈટી સમક્ષ રજૂ કરો. સરકાર એસઆઈટીની ભલામણો મુજબ જ કાર્યવાહી કરી રહી છે, અને જ્યારે વરિષ્ઠ અધિકારીઓની ટીમ કામ કરી રહી છે, ત્યારે આ અંગે રાજકીય નિવેદનો આપવાનું બંધ કરો,’ એમ તેમણે ઉમેર્યું હતું.
તપાસ અંગે સરકારના વલણનો પુનરોચ્ચાર કરતા સીએમ આદિત્યનાથે કહ્યું કે તપાસ દ્વારા સત્ય સામે આવશે અને આરોપ લગાવનારાઓને એસઆઈટીને સહકાર આપવા અપીલ કરી હતી.
‘સરકારે પહેલા દિવસથી જ કહ્યું હતું કે સંપૂર્ણ સત્ય પ્રકાશમાં લાવવામાં આવશે. હું પુનરોચ્ચાર કરું છું: રામ ભક્તોની પરીક્ષા ન લો, તેમની આસ્થા સાથે રમત ન કરો; જો તમારી પાસે પુરાવા હોય, તો તે એસઆઈટીને સોંપો,’ તેમણે જણાવ્યું હતું.
આરોપોને પગલે, શ્રી રામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટની વિનંતી બાદ, રાજ્ય સરકારે ૧૪ જૂનના રોજ રામ મંદિરમાં ચડાવવામાં આવેલા દાન સંબંધિત કથિત કૌભાંડની તપાસ માટે ત્રણ સભ્યોની વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરી હતી.