રામ મંદિરના દાનચોરોએ ચોરેલા પૈસા વ્યાજે આપ્યા, શૅરબજારમાં પણ રોક્યા

11 July, 2026 09:03 AM IST  |  Ayodhya | Gujarati Mid-day Correspondent

રામ મંદિરમાં દાન ગણતા ૨૩ કર્મચારીઓએ એકાએક રાજીનામાં આપ્યાં

અવિનાશ શુક્લા અને અનુકલ્પ મિશ્રા

રામ મંદિરમાં થયેલી ચડાવાની ચોરીના કેસમાં પોલીસ-તપાસમાં જાણવા મળ્યું છે કે બે આરોપીઓ અનુકલ્પ મિશ્રા અને અવિનાશે કથિત રીતે ચોરીના પૈસા વ્યાજે આપ્યા હતા અને આ રકમ શૅરબજારમાં પણ રોકી હતી. આમ ચોરીની તપાસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. અયોધ્યા પોલીસે ચંપત રાયના નજીકના સહયોગી ટિન્નુ યાદવ સહિત ૮ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ અને તેમના પરિવારના સભ્યોનાં ૩૦ બૅન્ક-ખાતાં ફ્રીઝ કરી દીધાં છે.

અનુકલ્પ મિશ્રાની પૂછપરછ કર્યા પછી પોલીસ તેને અયોધ્યા સ્થિત તેના ઘરે લઈ ગઈ હતી. આ રેઇડ ૨૦ મિનિટ ચાલી હતી. તેના ઘરમાંથી તેના નામે ખરીદેલી એક એકર જમીનના દસ્તાવેજો મળી આવ્યા હતા. દસ્તાવેજો અનુસાર જમીન આશરે ૬,૭૦,૦૦૦ રૂપિયામાં ખરીદવામાં આવી હતી. જોકે એની બજારકિંમત ઘણી વધારે હોવાનું માનવામાં આવે છે.

એવો આરોપ છે કે અનુકલ્પ અને અવિનાશે ચોરાયેલા દાનને તેમના નજીકના સહયોગીઓ અને સંબંધીઓમાં વહેંચી દીધું હતું અને વિવિધ માધ્યમો દ્વારા પૈસા તેમના પોતાના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. સંબંધીઓ અને નજીકના સહયોગીઓનાં ખાતાંઓ દ્વારા ઘણા નાણાકીય વ્યવહારો કરવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓ અને તેમના સંબંધીઓનાં લગભગ ૩૦ 
બૅન્ક-ખાતાં ફ્રીઝ કર્યાં છે. અગાઉ બુધવારે પોલીસ લવકુશ મિશ્રા અને કરુણેશ પાંડેને તપાસ માટે તેમના ઘરે લઈ ગઈ હતી.

રામ મંદિરમાં દાન ગણતા ૨૩ કર્મચારીઓએ એકાએક રાજીનામાં આપ્યાં

રામ મંદિરમાં દાનની રકમ ગણતા ૨૩ કર્મચારીઓએ બુધવારે અચાનક રાજીનામું આપી દીધું હતું. તેમનું કહેવું છે કે દાનચોરીના વિવાદ પછી દાનની ગણતરી બે શિફ્ટથી ઘટાડીને એક શિફ્ટમાં કરવામાં આવી હતી. તેમના ડ્યુટીના કલાકો છથી વધારીને ૯ કલાક કરવામાં આવ્યા હતા. તેમનું કહેવું છે કે તમામ કર્મચારીઓના પગારમાં પણ ઘટાડો કરવામાં આવ્યો હતો.

બધા કર્મચારીઓ બુધવારે ભેગા થયા હતા અને ફેરફારોનો વિરોધ કર્યો હતો અને રામ મંદિરના અધિકારીઓ સમક્ષ પોતાની માગણીઓ રજૂ કરી હતી. જોકે જ્યારે તેમની માગણીઓ નકારી કાઢવામાં આવી ત્યારે ૨૩ કર્મચારીઓએ રાજીનામું આપી દીધું હતું. ગુરુવારે માત્ર ૧૩ કર્મચારીઓ ફરજ પર હાજર રહ્યા હતા. આનાથી દાનની રકમની ગણતરીની પ્રક્રિયા પર અસર પડી હોવાનું કહેવાય છે. સામૂહિક રાજીનામાથી ટ્રસ્ટ, બૅન્ક અને સ્ટાફ પૂરી પાડતી એજન્સીને મોટો ફટકો પડ્યો છે. 

ayodhya ram mandir national news news