15 April, 2026 11:58 AM IST | Bihar | Gujarati Mid-day Correspondent
બિહારના મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપ્યા પછી નીતીશ કુમારે કેબિનેટની બેઠકમાં સમ્રાટ ચૌધરીનું અભિવાદન કર્યું હતું
લગભગ ૨૦ વર્ષ સુધી બિહારના મુખ્ય પ્રધાનપદે રહેલા નીતીશ કુમારે ગઈ કાલે મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપ્યું હતું. રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા બાદ તેમણે આ હોદ્દો છોડ્યો હતો અને હવે ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા સમ્રાટ ચૌધરી બિહારના નવા મુખ્ય પ્રધાન બનશે. તેઓ આજે બિહાર લોકભવનમાં મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે. નવી સરકારની રચનાની તૈયારીઓ થઈ ગઈ છે. નીતીશ કુમારે રાજ્યપાલને તેમનું રાજીનામું સુપરત કર્યું હતું.
સમ્રાટ ચૌધરી સાથે વરિષ્ઠ નેતાઓ વિજેન્દ્ર પ્રસાદ યાદવ અને વિજયકુમાર ચૌધરી પણ પ્રધાન તરીકે શપથ લેવાના છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિજેન્દ્ર પ્રસાદ યાદવ અને વિજયકુમાર ચૌધરી નાયબ મુખ્ય પ્રધાન બની શકે છે. આને નવી સરકારના પ્રારંભિક પ્રધાનમંડળનો ભાગ માનવામાં આવી રહ્યો છે. નવી બિહાર સરકારમાં BJPના મુખ્ય પ્રધાન અને જનતા દલ યુનાઇટેડ (JDU) ક્વોટામાંથી બે નાયબ મુખ્ય પ્રધાન હશે. વધુમાં અન્ય કૅબિનેટ પ્રધાનો અલગ તારીખે શપથ લઈ શકે છે.
પ્રધાનમંડળમાં જાતિ અને પ્રાદેશિક સંતુલન જાળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઘણા નવા ચહેરાઓને તકો આપવામાં આવી શકે છે, જ્યારે કેટલાક અનુભવી નેતાઓનો પણ સમાવેશ કરવામાં આવશે.